દેવાના ડૂંગર તળે દટાયેલી અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ કેપિટલ ટૂંક સમયમાં વેચાઈ રહી છે.
અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ વેચાશે
54 કંપનીઓએ લગાવી બોલી
ગૌતમ અદાણીએ પણ લગાવી બોલી
રિલાયન્સ કેપિટલના વેચાણનો તખતો તૈયાર થયો છે. અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે 54 કંપનીઓએ બોલી લગાવી છે તેમાં અદાણી, ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ટાટા એઆઈજી,એચડીએફસી એર્ગો અને નિપ્પન લાઈફ ઈન્શોરન્સ સામેલ છે.
બોલી જમા કરાવવાની છેલ્લી તારીખ 25 માર્ચ હતી હવે પ્રોસેસ શરુ થશે
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નિમાયેલા પ્રશાસકે બોલી જમા કરાવવાની અંતિમ તારીખ 11 માર્ચથી વધારીને 25 માર્ચ કરી હતી. બોલી લગાવનાર કંપનીઓમાં યસ બેન્ક, બંધન ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ, ઓક ટ્રી કેપિટલ, બ્લેકસ્ટોન, બ્રૂકફિલ્ડ, ટીપીજી, કેકેઆર, પીરામલ ફાઈનાન્સ અને પૂનાવાલા ફાઈનાન્સ સામેલ છે.
મોટાભાગના બિડરોએ EoI જમા કરાવ્યાં
સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના બિડરોએ સમગ્ર કંપનીને ટેકઓવર કરવા માટે EoI આપ્યો છે. તે જ સમયે, કેટલીક કંપનીઓએ રિલાયન્સ કેપિટલની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરી છે. બિડર્સ પાસે બે વિકલ્પો હતા કાં તો સમગ્ર કંપની રિલાયન્સ કેપિટલ માટે અથવા તેની એક કે બે પેટાકંપનીઓ માટે બિડ કરવા.
રિલાયન્સ કેપિટલની પેટાકંપનીઓ
રિલાયન્સ કેપિટલની પેટાકંપનીઓમાં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.રિલાયન્સ કેપિટલના બોર્ડના વિસર્જન પછી, રિઝર્વ બેંકે નાગેશ્વર રાવ વાયને કંપનીની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) માટે એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ રિઝર્વ બેંકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની મુંબઈ બેંચ સમક્ષ કંપની સામે CIRP શરૂ કરવા માટે અરજી કરી. આ વર્ષની શરૂઆતમાં, રિઝર્વ બેંકે કંપની માટે એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યા હતા અને રિલાયન્સ કેપિટલના વેચાણ માટે બિડ આમંત્રિત કર્યા હતા.