દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાખરડા ગામે પવનચક્કીના પ્રોજેકટની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
ખોટા દસ્તાવેજો બનાવી સરકાર સાથે છેતરપિંડી
રાજકીય વગથી ગૌચર જમીન પધરાવી દેવાનો આરોપ
ગૌચર જમીન પવનચક્કી કંપનીઓને આપી દેવાનો આક્ષેપ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાખરડા ગામે પવનચક્કીના પ્રોજેકટની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ તપાસની માગણી પણ કરવામાં આવી છે.
ગૌચર જમીન પધરાવી દેવાનો આરોપ
મળતી જાણકારી પ્રમાણે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે મિયાણી પાવર ઈન્ફ્રા. એલ.એલ.પી. લિમિટેડ કંપની દ્વારા અલગ અલગ સર્વે નંબરમાંથી કુલ 13 પવનચક્કીઓ ઉભી કરવા માટે 13 હેકટર જમીનની માગણી કરી હતી. જો કે કંપની દ્વારા જમીન ફાળવણી માટે કરવામાં આવેલી માગણી રજૂ કરતા નિયત નમૂનાની નિયત થયેલી કોલમમાં ખોટી માહિતી રજુ કરવા છતાં કોઈ ખરાઈ કર્યા કરવામાં આવી નહીં હોવાનો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આરોપ મુક્યો છે.
સર્કલ ઓફિસર દ્વારા ખોટા અભિપ્રાય આપવામાં આવ્યાનો આક્ષેપ
પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, મામલતદાર, સર્કલ ઓફિસર દ્વારા સ્થાનિકે જઈ સ્થળ સ્થિતિનો વાસ્તવિક અભિપ્રાય રજૂ કરવાનો હોય છે કંપનીને જમીન ફાળવણી કરવી કે નહીં તેનો આધાર સર્કલ ઓફિસર અને મામલતદારના અભિપ્રાય પર જ આધાર રાખતો હોય જેમાં મુખ્ય બાબત માંગણી વાળી જમીનમાંથી રાહ રસ્તા નીકળતા ન હોવા જોઈએ, કોઈ વિદ્યુત લાઇન પસાર થતી ન હોવી જોઈએ, નજીકથી રેલવે લાઇન પસાર થતી હોવી જોઈએ નહીં, વૃક્ષો છે કે નહીં જો હોય તો કેટલા, કેવડા, તેની કિંમત કેટલી, માલિકી હક્ક કોનો, MNRE ની સ્પષ્ટ ગાઈડ લાઇનનો ભંગ થાય છે કે નહીં, નિયંત્રણ રેખા ધારા નો ભંગ થાય છે કે નહીં, સરકારના વખતો વખતના કાયદાઓ, પરિપત્રો, ઠરાવોનું ઉલ્લંઘન થાય છે કે નહીં વગેરે જવાબો અભિપ્રાયમાં લખવાનો હોય છે. જો કે, મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા તૈયાર કરવામાં આવેલ અભિપ્રાયમાં ઉપરોક્ત તમામ પ્રશ્નોના જ્વાબોમાં કંપનીને ફાયદો થાય તેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
રાજકીય વગનો ઉપયોગ થયાંની પણ ચર્ચા
ઉલ્લેખનીય છે કે, ગૌચરની જમીન પર પવનચક્કીના પ્રોજેકટની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આરોપમાં કોઈ રાજકીય લાગવગ થઈ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી અધિકારીઓ દ્વારા કોઈ રાજકીય ઈશારે આ પ્રકારે કંપનીના ફાયદાનું કામ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે.
પરવાનગી વગર બુરી દેવાયું તળાવ
આ સાથે જ કંપની દ્વારા ખાખરડા ગામમાં આવેલ પાનોર તળાવને વચ્ચો વચ્ચથી બુરી તેમાં વચ્ચે 10 મીટર ઊંચો સિમેન્ટ કોન્ક્રીકીટનો પાકો પારો બનાવી અર્ધા તળાવને પૂર્વ પરવાનગી વગર બુરી દેવામાં આવ્યું છે અન્ય બે તળાવની પાળ તોડી તળાવમાંથી રસ્તો ઉભો કરવામાં આવ્યા છે.
બોક્સાઇટનું ગેરકાયદેસર ખનન કરાયું હોવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, અરજદાર દ્વારા માંગવામાં આવેલા 13 લોકેશન પૈકી 5 લોકેશન બોક્સઈટગ્રસ્ત વિસ્તાર છે.બોક્સઈટગ્રસ્ત વિસ્તારમાંથી સરકારી જમીનની ફાળવણી કરતા પહેલા ખાણ ખનીજ અધિકારીનો અભિપ્રાય ફરજિયાત લેવાનો હોય છે. ખાણ ખનીજ અધિકારીના અભિપ્રાય વગર જ બોક્સાઇટગ્રસ્ત વિસ્તારમાં પવનચક્કી ઉભી કરવા માટે જમીન ફાળવણી કરી દેવામાં આવી છે મિયાણી પાવર ઈન્ફ્રા. એલ.એલ.પી. લિમિટેડ કંપનીએ પૂર્વ પરવાનગી વગર સરકારી ખરબાઓ અને બોક્સાઇટ વાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન કરી લાખો કરોડોની ખનીજ ચોરી કરી છે.
ગ્રામ પંચાયતની પૂર્વ પરવાનગી વગર જ કરાયું ખોદકામ
આ સાથે જ કંપની દ્વારા ગ્રામ પંચાયતની પૂર્વ પરવાનગી, ગ્રામ પંચાયતમાં કોઈ કરાર, ઠરાવ કરાવ્યા વગર સરકારી ખરબાઓ અને ગૌચરની જમીનમાંથી રસ્તાઓ કાઢી, સરકારી ખરાબાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તો માંગણીવાળી જગ્યામાં ઉભેલા કિંમતી અને આયુર્વેદીક વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.
પાલભાઈ આંબલિયાએ જમીન પરત લેવાની કરી માગ
જિલ્લા કલેક્ટર દ્વારા જમીન ફાળવણીનો ઓર્ડર કરવામાં આવ્યા બાદ આપેલ સનદમાં શરત 19 મુજબ જમીનનો કબજો સાંભળ્યા બાદ 6 માસમાં કામગીરી ચાલુ કરવાની અને 3 વર્ષમાં ઉત્પાદન ચાલુ કરવાનું હોય છે. જો કે, કંપનીએ તારીખ 27/07/2018 ના રોજ કબજો સાંભળ્યો છે તે મુજબ આવતીકાલે 27/07/2021 ના રોજ 3 વર્ષની મુદ્દત પુરી થાય છે. શરત મુજબ ઉત્પાદન શરૂ કરવાનો સમય પણ પૂરો થયો છે અને કલેક્ટર શ્રીના હુકમની શરત 14 નો ભંગ થાય છે તેથી કંપની પાસેથી વગર નોટિસે આપેલી જમીન પરત લેવી જોઈએ, તેવી માંગ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કરી છે.