ગૌચર જમીન સુધારણાનો હેતુ પશુપાલકો અને પર્યાવરણને મદદરૂપ થવાનો હોય છે. પરંતુ જ્યારે આ યોજના હેઠળ જમીન સુધારણાનું માત્ર નાટક કરવામાં આવે છે ત્યારે તેમાંથી કૌભાંડની બૂ આવ્યા વગર રહેતી નથી. જામનગર (jamnagar) નાં જીવાપર (Jivapar) ગામે ગૌચર જમીન (Gauchar land) સુધારણાના નામે 23 લાખનો ખર્ચ પાડવામાં આવ્યો પરંતુ સ્થળ પર આટલા ખર્ચને ન્યાય આપે તેવું કામ થયું જ નથી. ત્યારે જોઈએ ગૌચર વિકાસનાં નામે આચરાતા કૌભાંડ (scam) અને તેમાં ભાગીદાર બનતા નઘરોળ તંત્રનો આ અહેવાલ.
જામનગરના જીવાપર ગામના પાદરમાં ગૌચર વિકાસના નામે દેખાતો આ માટીનો પાળો અને તેમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા ખોડેલા ખૂંટ અને તે પછી ગાંડાબાવળની આ ઝાડીઓ. તમને ક્યાંય વિકાસકાર્ય જેવું દેખાશે? અહીં ક્યાંય જમીન સમથળ કરી હોય અને તેના પર ગાય માતા માટે ઘાસ લહેરાતું હોય તેવું કશું દેખાશે નહીં. કદાચ તમને નહીં દેખાશે તો પણ ગામનાં સરપંચ અને તાલુકા-જિલ્લા તંત્રનું કહેવું છે કે આ જમીન પર ગૌચર જમીન માટે સુધારણા કરાઈ છે.
ગામની આ આજે પણ બંજર દેખાતી જમીન પર વર્ષ 2015-16માં ગૌચર જમીન સુધારણા પાછળ 23 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પરંતુ ગૌચર જમીન સુધારણાનાં નામે ઊધારેલા આ બિલો પર લખવામાં આવેલા આંકડા જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. જેસીબીનું બિલ ટ્રેક્ટરનું બિલ. તારફેશન્સિંગ થાંભલીઓનું બિલ. મજૂરોનું બિલ અને માટીનાં પાળા બાંધવાનું બિલ.
આ તમામ બિલોનો સરવાળો કરવામાં આવે તો અંદાજે 23 લાખ જેટલો ખર્ચ બતાવવામાં આવ્યો છે. પરંતુ સ્થળ પર આટલા ખર્ચ સામે કોઈ કામગીરી દેખાતી નથી. તો પૈસા આખરે કોના ઘરમાં ગયા? અને આ નાણાંનાં કેટલાં ભાગ પડ્યાં? આવો સવાલ ગામના જાગૃત નાગરિકને થતાં તેમણે આ સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમને તંત્ર પાસેથી યોગ્ય પ્રતિભાવ મળી રહ્યો નથી.
ત્રણ વર્ષ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા ગામ ગૌચર જમીન સુધારા યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેનો લાભ જામનગર જીલ્લાના જીવાપર ગામના સરપંચે પણ લીધો. વર્ષ 2015-16માં ગામ ગૌચર જમીન સુધારણા યોજનાના નામે અહીં દ્રશ્યોમાં દેખાય છે તેવી ગામગીરી કરી અને વિવિધ ખર્ચા દર્શાવીને લાખો રૂપિયા સરકારની તિજોરીમાંથી ઉપાડી લીધા. ના કોઈ જાહેરાત. ના કોઈ ટેન્ડર. માત્રને માત્ર ઓફિસમાં બેસી તમામ યોજના કાગળ પર ઉભી કરવામાં આવી અને યોજના પૂર્ણ પર કરી દેવામાં આવી. ત્યાર બાદ કામગીરી પેટે.
અંદાજીત 23 લાખનાં બીલ તંત્ર સમક્ષ રજુ કર્યા. તંત્રએ પણ કોઈ પ્રતિકાર વગર આ રકમ પાસ કરી દીધી. જુઓ આ બિલનાં આંકડાઓ એક દિવસનાં ચોવીસ કલાક હોય છે પરંતુ ગામનાં સરપંચ દ્વારા એક દિવસમાં 32 કલાક સુધી જેસીબી ચાલ્યું હોવાનું દર્શાવીને આવા ત્રણ ચાર દિવસ સ્ટાર અર્થ મૂવર્સ જેસીબીનાં બિલ પેટે 3,18,000 ત્રણ લાખ અઢાર હજાર રૂપિયાનો ખર્ચ દર્શાવી દેવામાં આવ્યો હતો. તો જમીન સમતળ કરવા માટે સંજરી ટ્રેક્ટરનાં નામે રૂ. 2લાખ એંશી હજારનો ખર્ચ દર્શાવી દેવામાં આવ્યો. તો જય માતાજી ટ્રેક્ટર્સનાં નામે પણ ત્રણ લાખ 24 હજારની રકમનો ખર્ચ દર્શાવવામાં આવ્યો.
સામાન્ય રીતે બસ્સો રૂપિયામાં મળતી સિમેન્ટની થાંભલીનો ભાવ 400 રૂપિયા ઉધારી 485 થાંભલીઓનું બીલ એક લાખ 94 હજારનું બિલ બનાવવામાં આવ્યું. તો થાંભલી ઉભી કરવા એક વ્યક્તિને પ્રતિ દિવસ રૂપિયા 300 ચુકવવાયાનું જણાવીને મજૂરી કામનાં નામે રૂપિયા ત્રણ લાખ છોંતેર હજાર પાંચસો રૂપિયાની ચૂકવણીનાં બિલ બનાવવામાં આવ્યાં. નિયમ પ્રમાણે વાઉચર પર સરપંચ અને તલાટીની સહીઓ જરૂરી છે, છતાં પણ એક માત્ર સરપંચની સહીથી બીલ પાસ કરી દેવામાં આવ્યાં છે અને સ્થળ પર આટલા ખર્ચા પ્રમાણે કોઈ કામગીરી જોવા મળતી નથી. છતાં સરપંચ કહે છે આક્ષેપો ખોટા છે. નિયમ પ્રમાણે કામ થયું છે.
ગૌચર જમીન સુધારણા પેટે કરવામાં આવેલ કામગીરી, તત્કાલીન અને વર્તમાન સરપંચ પ્રવીણભાઈ પરમાર, તલાટી મંત્રી ધીરજબેન ટીટા, અને અન્ય જે જવાબદાર અધિકારીઓની મિલિભગતથી થઈ હતી. આ તમામની મિલિભગતથી આચરવામાં આવેલ આર્થીક કૌભાંડની ન્યાયિક રીત તપાસ કરવામાં આવે તેવી ડીડીઓ સુધી અને કાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તપાસ ઠેરની ઠેર છે.
પણ હિંમતનાં ઈજેક્શન અને કામ કરવાની દાનત ક્યાંય બજારમાં વેચાતી મળતી નથી, આટલા પુરાવા છતાં સીધી જવાબદારી હેઠળનાં જામનગર તાલુકા વિકાસ અધિકારી સુરેજા હજુ આ બાબતની તપાસ કરીશું તેવું રટણ કરી રહ્યાં છે. ગૌચરની બંજર જમીન સુધારી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, પરંતુ અનેક ગામડાઓમાં આ યોજનાને ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગી ગયું છે. જેનું ઉદાહરણ જીવાપર ગામે દીવા જેવું સામે તરી આવ્યું છે.