સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થઈ શકે છે.
ગેસની કીમતોમાં વધારો થવાની શક્યતા
નેચરલ ગેસની કિંમત 40 ટકા ઉછાળો આવ્યો
ટૂંક સમયમાં CNG-PNG માં ભાવ વધારો થશે
તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. નેચરલ ગેસની કિંમત 40 ટકા વધીને રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. આ સાથે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થઈ શકે છે.
ONGCના જુના ક્ષેત્રોના ગેસની કિંમતમાં વધારો
ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આદેશ અનુસાર ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના જૂના ક્ષેત્રોના ગેસની કિંમત 6.1 ડોલરથી વધારીને 8.57 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવામાં આવી હતી. આ જ દરે દેશમાં ઉત્પાદિત થતા ગેસનો લગભગ બે તૃતીયાંશ ભાગનું વેચાણ થશે. આદેશ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના ભાગીદાર બીપી પીએલસી દ્વારા કેજી બેઝિનમાં કાર્યરત ડી-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ક્ષેત્રોમાંથી કાઢવામાં આવેલા ગેસની કિંમત 9.92 ડોલરથી વધારીને 12.6 ડોલર પ્રતિ યુનિટ કરવામાં આવી છે. એપ્રિલ 2019 પછી ગેસના દરમાં આ ત્રીજો વધારો હશે. બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય કિંમતોમાં મજબૂતીને કારણે તેમાં વધારો થયો છે.
એક વર્ષમાં 70 ટકાનો વધારો
કુદરતી ગેસ એ ખાતર બનાવવાની સાથે વીજળી ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય કાચો માલ છે. તે સીએનજીમાં પણ રૂપાંતરિત થાય છે અને પીએનજી એટલે કે રાંધણ ગેસ તરીકે ઉપયોગમાં લેવાય છે. દરોમાં ધરખમ વધારાથી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થવાની ધારણા છે, જે છેલ્લા એક વર્ષમાં 70 ટકાથી વધુ વધી ચૂકી છે.
સરકાર આ સમયે ભાવ નક્કી કરે છે
ઉલ્લેખનીય છે કે સરકાર દર 6 મહિને એટલે કે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે ગેસના ભાવ નક્કી કરે છે. આ કિંમતો અમેરિકા, કેનેડા અને રશિયા જેવા ગેસ-સરપ્લસ દેશોમાં પ્રવર્તતા દરોના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં એક વર્ષમાં ચોથા ભાગના અંતરાલ હોય છે. 1 ઓક્ટોબરથી 31 માર્ચ સુધીનો ભાવ જુલાઈ 2021 થી જૂન 2022 સુધીના સરેરાશ ભાવ પર આધારિત છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે દરમાં તીવ્ર વધારો થયો છે.
મોંઘવારી વધી શકે છે
ગેસના ઊંચા ભાવો ફુગાવાને વધુ વેગ આપી શકે છે, જે છેલ્લા આઠ મહિનાથી આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર ચાલી રહ્યો છે. સરકારે ભાવોની ફોર્મ્યુલાની સમીક્ષા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે.
વીજળી બીલ અને ખેતીમાં પડશે અસર
સૂત્રોએ જણાવ્યું હતું કે કુદરતી ગેસના ભાવમાં વધારાથી દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં સીએનજી અને રાંધણ ગેસના દરમાં વધારો થવાની સંભાવના છે. આનાથી વીજળી ઉત્પન્ન કરવાનો ખર્ચ પણ વધશે પરંતુ ગેસમાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો ખૂબ ઓછો હોવાથી ગ્રાહકોને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. એ જ રીતે ખાતરના ઉત્પાદનનો ખર્ચ પણ વધશે, પરંતુ સરકારની ખાતરની સબસિડીથી દરોમાં વધારો થવાની શક્યતા નહિવત્ છે. જોકે આ નિર્ણયથી ઉત્પાદકોની આવકમાં વધારો થવાની શક્યતા છે.