વિશ્વમાં ગેસની તંગી સર્જાઇ છે જેની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે. એપ્રિલ માસમાં ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા
વિશ્વમાં ગેસની ભારે અછત વર્તાઇ
ભારતમાં એપ્રિલમાં ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા
CNG, PNG અને વીજળીના ભાવમાં વધારો થશે
દેશની જનતા મોંઘવારીથી પરેશાન છે. તમામ ચીજ વસ્તુઓના ભાવમાં કમર તોડ વધારો થઇ ગયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ ચૂંટણી બાદ આસમાને પહોંચે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે હવે ગેસના ભાવ પણ આસમાને પહોંચે તો નવાઇ નહી. કારણ કે વિશ્વમાં ગેસની ભારે અછત વર્તાઇ છે. જેની અસર ભારતમાં એપ્રિલ મહિનામાં જોવા મળી શકે છે. પરિણામે દેશમાં CNG, PNG અને વીજળીના ભાવમાં વધારો થશે.
ઉર્જાની માગમાં વધારો
વૈશ્વિક અર્થવ્યવસ્થા કોરોનાના કહેરમાંથી બહાર આવી રહી છે અને તેની સાથે ઊર્જાની માંગ પણ વધી રહી છે. પરંતુ 2021માં તેનો પુરવઠો વધારવા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા ન હતા. આ કારણોસર ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક ઉદ્યોગો પહેલેથી જ આયાતી એલએનજી માટે ઊંચા ભાવ ચૂકવી રહ્યા છે. આનું કારણ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ છે જ્યાં કિંમત ક્રૂડ ઓઈલ સાથે જોડાયેલી છે. તેઓએ સ્પોટ માર્કેટમાંથી ખરીદી ઓછી કરી દીધી છે. જ્યાં ઘણા મહિનાઓથી ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે.
એપ્રિલમાં ભાવ વધી શકે છે
જ્યારે સરકાર નેચરલ ગેસના સ્થાનિક ભાવોમાં ફેરફાર કરશે ત્યારે આ ભાવ વધારો ભારતમાં એપ્રિલ માસમાં જોવા મળશે.ઉદ્યોગ નિષ્ણાતો અને વિશ્લેષકો કહે છે કે તે $2.9 પ્રતિ mmBtu થી વધારીને $6-7 કરી શકાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર ઊંડા સમુદ્રમાંથી નીકળતા ગેસની કિંમત $6.13 થી વધીને લગભગ $10 થશે. કંપની આવતા મહિને અમુક ગેસની હરાજી કરશે. આ માટે, તેણે ફ્લોર પ્રાઈસને ક્રૂડ ઓઈલ સાથે જોડી દીધી છે, જે હાલમાં $14 પ્રતિ mmBtu છે.
સીએનજીના ભાવમાં થશે વધારો
દેશમાં પ્રાકૃતિક ગેસના ભાવ દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં નક્કી કરવામાં આવે છે. એપ્રિલની કિંમત જાન્યુઆરી થી ડિસેમ્બર 2021ની આંતરરાષ્ટ્રીય કિંમતો પર આધારિત હશે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એ.કે.જેનાના જણાવ્યા અનુસાર, સ્થાનિક કુદરતી ગેસના ભાવમાં એક ડૉલરના વધારાને કારણે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4.5નો વધારો થશે. મતલબ કે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો થઈ શકે છે.
પેટ્રોલ Vs CNG
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એ.કે.જેનાએ જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલની સરખામણીએ CNG વાહનો માટે કોસ્ટ આર્બિટ્રેજ 55 ટકા છે. જો પેટ્રોલના ભાવ સતત વધતા રહેશે તો આ સંતુલન જળવાઈ રહેશે. પરંતુ જો તેલના ભાવ ન વધે કે ઘટે તો સ્થિતિ અલગ હશે. જો કોસ્ટ આર્બિટ્રેજ 40 ટકા કે તેથી વધુ હોય તો સીએનજીમાં રૂપાંતરનો કોઈ લાભ નહીં મળે.