આશ્રમરોડ પર આવેલા વલ્લભસદનની પાછળના રિવરફ્રન્ટ પરના એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે રાઇડનો હાઇડ્રોલિક સળિયો તૂટવાથી ૧૪ બાળકો સહિત ર૮ લોકો હવામાં લટકી ગયા હતા. જોકે ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી તમામને સહીસલામત બહાર કઢાયા હતા.
એક પ્રકારે એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટી દુર્ઘટના સર્જાતી અટકી ગઇ હતી. જોકે આને પગલે શહેરનાં પ્રસિદ્ધ બગીચા, પ્રસિદ્ધ મોલમાં ધમધમતી થ્રીલ રાઇડસ સહિતની પ્રવૃત્તિઓ તેમજ ઠેકઠેકાણે ચાલતાં કહેવાતા ફનફેરમાં બાળકોની સલામતી અંગે અનેક પ્રકારના પ્રશ્નો ઊઠ્યા છે. આમાંના મોટા ભાગનાં સ્થળોએ આનંદ માણવા જતાં બાળકોનું જીવન ગમે ત્યારે જોખમમાં મુકાય તેવી શક્યતા હાલની સ્થિતિને જોતા લાગે છે.
વલ્લભસદનના એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે રાઇડમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું અને ત્યારબાદ પોલીસ વિભાગ અને ફાયરબ્રિગેડે એમ્યુઝમેન્ટ પાર્કને બંધ કરાવ્યો. જોકે એમ્યુઝમેન્ટ પાર્કની તમામ રાઇડની ફિઝિકલ સર્ટિફિકેટની તપાસ જરૂરી બની છે તેમજ ઇલેક્ટ્રિક સપ્લાય અને રાઇડના ઇન્સ્પેકશન માટે એફએસએલની મદદ પણ મગાઇ છે. એફએસએલની મદદથી આજે રાઇડનું ઇન્સ્પેકશન કરાશે. પરંતુ આ તમામ કવાયત આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી જ છે.
શહેરમાં અનેક પ્રસિદ્ધ બગીચા તેમજ મોલમાં સંચાલકો દ્વારા વધારાની કમાણી કરવાના આશયથી થ્રીલ રાઇડ જેવી જોખમી રાઇડ પણ અન્ય નિર્દોષ રાઇડની સાથે ઊભી કરાઇ છે. અત્યારના વેકેશનના સમયગાળાને જોતાં કેટલાંક લેભાગુ તત્ત્વોએ શહેરભરમાં ઠેકઠેકાણે ફનફેર અથવા તો આનંદમેળાના નામે બાળકોનાં વાલીઓના ખિસ્સાં ખંખેરવા મોટાં ચગડોળ સહિતની અનેક રાઇડ ઊભી કરીને પોતાના ગલ્લા ભરી રહ્યા છે.
જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે, અનેકવાર રાઇડને એકદમ પાસે પાસે ઊભી કરાઇ છે. બે રાઇડ વચ્ચે આગ કે અકસ્માતથી બચવા માટે પૂરતી જગ્યા નથી હોતી. રાઇડને પણ જે તે જગ્યાએ ઇન્સ્ટોલ કરવા માટે કોઇ ટેક્નિકલ સ્ટાફની મદદ લેવાતી નથી. તેના બદલે સંચાલકો દ્વારા અણઘડ માણસોને રાઇડને ફીટ કરવાની કામગીરી સોંપાય છે.
જે તે રાઇડને ફીટ કરતી વખતે તેના નટબોલ્ટ વગેરે સુરક્ષિત રીતે લગાવાયા છે કે કેમ તેની ચેકિંગ કરવાની પણ તસદી લેવાતી નથી. રાઇડનો લહાવો લેવા આવતા સહેલાણીઓની અવરજવર માટે પણ પૂરતી મોકળાશવાળો પેસેજ હોતો નથી. ઇલેક્ટ્રિકનું વાયરિંગ તકલાદી ધોરણનું હોઇ જમીન પર તેના કેબલ આડેધડ પથરાયેલા જોવા મળે છે અને બે વાયર વચ્ચેનું ફિટિંગ ટેપથી કરવાના બદલે ખુલ્લા રખાય છે. જે બાળકો સહિત સહેલાણીઓ માટે ગમે ત્યારે જીવલેણ બની શકે છે.
બીજી તરફ ખાણી-પીણીના સ્ટોલ સહિતના સ્ટોલ મોટે ભાગે કપડાં, લાકડાં કે ફાયબર જેવી ત્વરિત જવલનશીલ વસ્તુઓથી કામચલાઉ ધોરણે ઊભા કરાયેલાં હોય છે. આવા સ્ટોલમાં ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટ કે સામાન્ય ઇલેકટ્રિકના સ્પાર્કથી ભીષણ આગ ફાટી નીકળવાની શક્યતા હંમેશની હોય છે. જોકે આવા સ્ટોલમાં ફાયરસેફટીનાં સાધનો યોગ્ય જરૂરિયાત મુજબના રખાતાં નથી. આ બાબત પણ લોકોની જિંદગી માટે જોખમી છે.
તંત્ર દ્વારા રાઇડ કે ફનફેરની મંજૂરી કે મોનિટરિંગ માટે કોઇ નિશ્ચિત ધારાધોરણ ઘડાયા ન હોય મહદંશે જે તે રાઇડ કે ફનફેરના સંચાલકોની મુનસફી પર લોકોનાં ભાવિ તોળાયેલાં રહે છે. ખરેખર તો છેલ્લાં ત્રણ વર્ષમાં શહેરમાં રાઇડ કે ફનફેર દરમ્યાન બનેલી પ્રાણઘાતક ઘટનાઓને જોતાં સત્તાવાળાઓએ કોઇ એક નિશ્ચિત એજન્સીની નિગરાની હેઠળ તમામ રાઇડ કે ફનફેરને મૂકવા જોઇએ.
આને બદલે જે તે દુર્ઘટના સમયે જે તે જવાબદાર સંચાલક સામે એફઆઇઆર કરાય છે તેમનું લાઈસન્સ રદ કરાય છે, પરંતુ આ તો ઘટના પછીની વાત છે. આવી ઘટના ન બને તેવી કોઇ સિસ્ટમ ગોઠવાતી નથી અને છેલ્લે ભીનું સંકેલાઇ જાય છે. દરમ્યાન મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના વડા એમ.એમ. દસ્તૂરને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે, આમાં ફાયરસેફટીના મામલે અમારો વિભાગ જવાબદારી લઇ શકે. બાકી અન્ય બાબતો માટે અન્ય વિભાગોની જવાબદારી બને છે.