વિલન બનેલા વરસાદે નોરતાની મજા મારી નાંખી છે. શહેરમાં નવ દિવસનો ઉત્સવ સાવ 6 કે સાત દિવસનો થઈ જશે કારણે લગભગ મોટાભાગના આયોજકોએ પહેલા બે દિવસ ગરબા કેન્સલ કર્યા છે. જેને કારણે પહેલા દિવસે જ ધબડકો થયો છે. ગરબા ક્લાસિસમાં જઈ મહિનાઓથી પ્રેક્ટીસ કરી રહેલા ખેલૈયાઓનો ગૃપને આ વર્ષે થોડી નીરાશા સાંપડશે.
અમદાવાદ ક્લબોમાં પહેલા બે દિવસ ગરબા બંધ રખાયા
વડોદરામાં પણ હાલ બેહાલ
સુરતમાં રેઈન ગરબા રમાશે
રાજ્યભરમાં વરસાદ ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે વિલન બન્યો છે. અમદાવાદમાં આ વર્ષે 18 આયોજકોએ આયોજન પડતુ મુક્યુ છે. ગયા વર્ષે 63 ગરબા આયોજકોએ મંજૂરી લીધી હતી જયારે આ વર્ષે શહેરમાં 45 ગરબા આયોજકોએ જ મંજૂરી લીધી છે. ગરબા રદ્દ થાય તો આયોજકો રિફંડ નહી આપે કારણ કે આ તો કુદરતી આપત્તી છે. વળી હજુ 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે
અમદાવાદમાં ક્યાં ક્યા થયા ગરબા રદ્દ
વરસાદી માહોલને લઈને શહેરની ક્લબોમાં નવરાત્રિના આયોજન પર અસર પડી છે. મોટાભાગની ક્લબોમાં પહેલા બે દિવસના ગરબા કેન્સલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આયોજકોએ શરદપૂનમના ગરબાનું આયોજન કર્યું છે. જે ક્લબોમાં પહેલા બે દિવસ ગરબા બંધ રખાયા છે.
કઈ કઈ ક્લબમાં ગરબા કેન્સલ
કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, વાયએમસીએ કલબ બેબીલોન, ક્લબ ઓ-7, બીએનઆઈ, ગ્રીન અંદાજ પાર્ટીપ્લોટમાં બે દિવસ ગરબા બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે સ્પોર્ટસ કલબમાં શરદપૂર્ણિમાએ ગરબા યોજાશે. નારાયણી હાઇટ્સ અને આર વર્લ્ડમાં 1થી 8 ઓકટોબર સુધી ગરબા યોજાશે. જ્યારે ક્લબ ઓ- 7માં છેલ્લા ત્રણ દિવસ ગરબા યોજાશે. ક્લબના આયોજકોએ રિફંડ આપવાની જાહેરાત કરી છે. અમુક કલબો હવામાન જોયા બાદ આગામી કાર્યક્રમ જાહેર કરશે.
વડોદરામાં પણ હાલ બેહાલ
વડોદરામાં અંબાલાલ પાર્કના ગરબા પ્રથમ દિવસે રદ્દ કરવામાં આવ્યા છે બાકીના આયોજકો હજુ અસમંજસમાં છે. છેલ્લા આઠેક દિવસથી વરસતા વરસાદના પગલે શહેરના ગરબા મેદાનોમાં પાણી ભરાવા ઉપરાંત કાદવ-કીચડ થઈ ગયો છે. આ ઉપરાંત શહેરના અન્ય 15 મોટા ગરબા આયોજકો અસમંજસમાં છે.
રાજકોટમાં પણ ગરબા કેન્સલ
રાજકોટમાં ધામધૂમથી યોજાતા વેલકમ નવરાત્રિને વરસાદને કારણે બ્રેક વાગી છે જ્યારે શહેરના 28 સ્થળોએ અર્વાચીન રાસોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકોએ મેદાનમાં પાણી નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરી રાસોત્સવ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
સુરતમાં રેઈન ગરબા રમાશે
સુરતમાં કોઈ ગરબા કેન્સલ નથી કરવામાં આવ્યા. વરસાદની આગાહી હોવા છતાં સુરતી ખેલૈયાઓ અને આયોજકોએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવાનું મન બનાવી લીધું છે.