ભગવાન ગણેશ જળ તત્વના અધિપતિ છે. આ જ કારણ છે કે અનંત ચૌદશના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી તેમનું વિસર્જન કરવામાં આવે છે. આજે અમે આપને જણાવીશું ગણેશ વિસર્જન કરતાં પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખવું જેથી કોઈ ભૂલ ન રહે અને સાથે જ વિઘ્નહર્તા તમારા પર પ્રસન્ન પણ થાય.
ગણેશ ચતુર્ગથીના દિવસે ગણપતિ લાવ્યા બાદ અનેક લોકો 10 દિવસ સુધી તેમની સેવા પૂજા કરે છે. ખૂબ જ આનંદ અને ઉત્સાહથી લાવેલા આ ગણેશજીને વિદાય કરવાના દિવસો પણ નજીક આવી ચૂક્યા છે. જે શ્રદ્ધાથી તમે ગણેશજીને લાવ્યા હતા અને સ્થાપના કરી હતી. આ શ્રદ્ધા સાથે તમે તેમને વિદાય પણ કરશો અને આવતા વર્ષે જલ્દી આવજો તેવા નારા પણ લગાવશો. પણ ગણેશજીની વિદાય પહેલાં તમારે કેટલીક વાતો જાણવી જરૂરી છે. ગણેશ વિસર્જન કરતાં પહેલાં જો તમે આ 4 ઉપાય કરી લો છો તો તમને સંપૂર્ણ પૂજાનું ફળ મળે છે. સાથે જ ધનની પ્રાપ્તિ થાય છે અને તમારી મનોકામનાઓ પણ તરત જ પૂરી થાય છે.
ગૌમાતાને દરેક દેવી દેવતાઓનું રૂપ માનવામાં આવે છે. ગણેશ વિસર્જન પહેલાં ગાયને લીલી શાકભાજી, દુર્વા, લીલું ઘાંસ ખવડાવો. આમ કરવાથી ધન પ્રાપ્ત થશે અને મુસીબતોમાં રાહત મળશે.
ગણેશ વિસર્જન પહેલાં આગલી રાતે પાંચ મોદક કે પાંચ લાડુ અને પાણી ભરેલો લોટો ગણેશજી પાસે રાખો. સવારે વિસર્જન બાદ તેને લઈ લો અને ઘરના લોકોને પ્રસાદ સ્વરૂપે આપી દો. પાણીનો લોટો લઈને પીપળાના ઝાડની ફરતે તે પાણી રેડી દો. તમારી મનોકામના પૂરી થશે.
લીલા ઘાણા (કોથમીર)ને સાફ લીલા કપડાંમાં લો અને ગણેશજીના ચરણોમાં રાખો. તેને સાફ કર્યા વિના ડાળખી સાથે જ રહેવા દો. વિસર્જન બાદ તે કોઈ ગરીબને આપી દો.
એક મૂઠ્ઠી લીલી મગની દાળ લો અને મનમાં મનોકામના સાથે ગણેશ વિસર્જન સાથે તેને પાણીમાં પધરાવી દો. ગણેશજી મનોકામના પૂરી કરશે. જીવનમાં ખુશીઓ આવશે. વિસર્જન બાદ પાછા ફરો ત્યારે પાછા ફરીને જોવું નહીં તે ખાસ ધ્યાન રાખો.
વિસર્જન કરતી વખતે ધ્યાનમાં રાખજો આ વાતો
ગણેશજીનું વિસર્જન કરતાં પહેલાં તેમની વિધિવત પૂજા કરવી અને તેમને પ્રસાદ ધરાવી અને ગણેશજી સમક્ષ સ્વસ્તિવાચન કરવું.
એક પાટલો કે બાજોઠ લેવો અને તેને ગંગાજળ અથવા ગૌમૂત્રથી સાફ કરો અને તેના પર કંકુથી સાથિયો બનાવો અને તેના પર ચોખા રાખી અને લાલ કપડું પાથરો.
આ કપડાના ચાર ખૂણા પર ચાર સોપારી રાખો અને ફુલની પાંદળીઓ પાથરો. ગણેશજીનો જયકાર કરી અને તેમની પ્રતિમાને સ્થાપન પરથી લઈ અને બાજોઠ પર રાખો અને વિસર્જન સ્થળ સુધી લઈ જવા.
વિસર્જન સ્થળે જઈ તેમની ક્ષમા યાચના કરી કપૂરની આરતી કરવી અને તેમને તમામ સામગ્રીઓ સાથે ધીરે ધીરે પાણીમાં વિસર્જીત કરવા. ગણેશજીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી હોય તો તેને ઘરે પણ વિસર્જિત કરી શકાય છે.