એક ૩૮ વર્ષ જૂના કેસમાં ગેંગસ્ટર છોટા રાજન નિર્દોષ સાબિત થયો હતો. સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે તેને ગુનામુક્ત કર્યો હતો.
સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે છોટા રાજનને એક કેસમાં ગુનામુક્ત કર્યો
ડોન દાઉદનો સૌથી મોટા દુશ્મન
પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાનાં આરોપ
સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે બહુચર્ચિત ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ છોટા રાજનને એક કેસમાં 38 વર્ષ બાદ છોડી મૂક્યો છે એટલે કે ગુનામુક્ત કર્યો છે . આ કેસ મુંબઈ અંડરવર્લ્ડમાં ડોન દાઉદના સૌથી મોટા દુશ્મન માનવામાં આવતા છોટા રાજનની ક્રિમિનલ લાઈફ આધારિત સૌથી પહેલો કેસ માનવામાં આવે છે. આ કેસમાં 1983 માં એક પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાનાં આરોપ હેઠળ તેની સામે કેસ ચાલ્યો હતો. રાજન વિરુદ્ધ આ પહેલો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
દારૂની હેરાફેરીનો કેસ
છોટના રાજન સામે 38 વર્ષ પહેલા દારૂની હેરાફેરીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
છોટા રાજનના વકીલ તુષાર ખંડારેએ જણાવ્યું કે આ કેસ 1983માં નોંધવામાં આવ્યો હતો જ્યારે તિલક નગર પોલીસ સ્ટેશનની એક ટીમે છોટા રાજનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જે ટેક્સીમાં દારૂની દાણચોરી ચલાવી રહ્યો હતો. આ પોલીસ ટીમમાં બે અધિકારીઓ અને ચાર કોન્સ્ટેબલ હતા, જ્યારે રાજનની સાથે કારમાં અન્ય બે સાથીદારો પણ હતા.
પોલીસ અધિકારી પર હુમલાનો આરોપ
જ્યારે પોલીસે ટેક્સી રોકી ત્યારે છોટા રાજને છરી કાઢી અને પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કર્યો. જોકે, પોલીસે છોટા રાજન અને તેના એક સાથીની ધરપકડ કરી હતી, જ્યારે એક સાથી ભાગી ગયો હતો. છોટા રાજન સાથે પકડાયેલા તેના સાથીદારને બાદમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, જ્યારે છોટા રાજન જામીન પર કોર્ટમાંથી બહાર નીકળી ગયો હતો, પરંતુ રાજન સામે ટ્રાયલ ચાલી રહી હતી. ઇન્ડોનેશિયામાં ધરપકડ કર્યા બાદ છોટા રાજનને ઓક્ટોબર 2015માં ભારત લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મુંબઈ પોલીસે છોટા રાજનનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો. અંતિમ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરતી વખતે સીબીઆઈએ કહ્યું હતું કે બહુ જૂના કેસને કારણે તેઓ કોઈ સાક્ષી અને પુરાવા શોધી શકતા નથી. હુમલામાં વપરાયેલી છરી પણ ગુમ થઈ ગઈ છે.
સ્પેશિયલ કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો
મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે એજન્સીના આ ક્લોઝર રિપોર્ટને ફગાવી દેતાં કેસ બંધ કરવાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઈ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રદીપ ઘરતે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ઘટના સમયે હાજર ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ છોટા રાજનને સારી રીતે ઓળખી કાઢ્યો હતો અને બચાવ પક્ષ તેને નકારી શકે તેમ નથી.