ગેંગસ્ટરે સાબરમતી જેલમાં બેસીને એક વેપારીને ધમકી ભર્યો ફોન કર્યો હતો, ફરિયાદ નોંધાતા અઝહર કીટલીની પોલીસે ધરપકડ કરી
જેલમાં નેટવર્ક ચલાવના ગેંગસ્ટરની ધરપકડ
આરોપીએ વેપારીના ઘરે તોડફોડ કરાવી
અઝહરની 20 જેટલા ગુનામાં સંડોવણી
20 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલા અઝહર કીટલીએ જેલમાં બેઠા બેઠા જ પાંચ લાખ માંગવા ધમકી ભર્યા ફોન કરી વેપારીના ઘરે માણસો મોકલ્યા અને તોડફોડ કરી હતી.. જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અઝહર કીટલી અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.
વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આ છે કુખ્યાત અઝહર કીટલી, જે અગાઉ જુહાપુરા માં રહી અનેક ગુના આચરી ચુક્યો છે. અઝહર કીટલીએ સાબરમતી જેલમાં બેસીને એક વેપારીને ફોન કર્યો. અને વેપારીએ જવાબ ન આપતા અઝહર આવેશમાં આવી ગયો. બાદમાં તેણે તેના સાગરીતો મોકલી તોડફોડ કરાવી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અઝહર સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. છતાંય જેલમાં બેસીને તે ખંડણીનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરી છે. આરોપી અઝહર કીટલીનું જુહાપુરામાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
જેલના અધિકારીઓના આશીર્વાદ?
અઝહર કીટલી અગાઉ અનેક ગુનામાં ઝડપાઇ પણ ચુક્યો છે. છતાંય જેલમાં બેસીને તે જેલના અધિકારીઓના આશીર્વાદથી ફોન કરી લોકોને ધમકાવી રહ્યો છે. આ મામલે વેજલપુર પોલીસે અઝહર કીટલી, અઝહર કબુતર, બબલુ સહિતના છ લોકો સામે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. તાજેતરમાં અઝહર કીટલી પાસેથી ફોન મળી આવ્યો હતો. અને તે બાબતે રાણીપમાં ગુનો પણ નોંધાયો હતો જે મામલે એસઓજી ક્રાઈમ તપાસ કરી રહી છે. તેવામાં જેલમાં રહીને વેપારીઓને ધમકાવતા અઝહર કીટલીના અન્ય સાગરીતોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
મોબાઈલ કેવી રીતે આવ્યો તે તપાસ વિષય
અઝહર આમ તો ફિલ્મી કેરેકટર મનીયા સુરવે બનવાના ખ્વાબ જોતો હતો. પણ હવે પોલીસ તેને બિલ્લીની માફક ગુનાની દુનિયામાંથી ભગાવી દેશે તેવો એક્શન પ્લાન ઘડ્યો છે..આરોપી અઝહર પાસે જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યો અને તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ છે તે તમામ દિશામાં પોલીસે પુછપરછ હાથ ધરી છે.
અઝહર કીટલીની ક્રાઇમ કુંડળી
21 વર્ષની ઉંમરે ક્રાઇમની દુનિયામાં પગપેસારો કર્યો.
વર્ષ 2009ની વર્ષમા સૌથી પહેલો ગુનો આચર્યો.
ધાક ધમકીથી પડાવેલા રૂપિયા દાન અને સેવા કર્યોમાં વાપરતો હતો.
6 વ્યક્તિઓની ગેંગ રાખી ગુનાઓને અંજામ આપતો હતો.
ગુજ-સી ટોક સહિત 19થી વધુ ગુનાઓમાં સંડોવણી
મહત્વનું એ છે કે મુંબઈના બે નામચિહ્ન ગેંગસ્ટરની જેમાં એક મણિયા સુરવે અને બીજો સુલતાન મીરઝા આ બંને ગેંગસ્ટરની કામગીરી મુજબ અઝહર કીટલી શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા માંગતો હતો પરંતુ પોલીસે 2021માં અઝહર કીટલીની ધરપકડ કરીને તેના તમામ નાપાક ઇરાદાઓને નિસ્તો નાબૂદ કરી દીધા હતા. પણ જેલ પ્રશાસનની રહેમ નજર હેઠળ ફરી અઝહર કીટલી પોતાની ધાક જમાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે આજે જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે અઝહર કીટલીની ધરપકડ કરવામાં આવી છે.