ગણેશ ચતુર્થીના તહેવારને ભારત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 13 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. ભારતમાં ઘણાં ગણેશ મંદિર છે પરંતુ કેટલાક મંદિરો એવા છે જ્યાં લોકોની ખૂબ જ શ્રદ્ઘા છે અને એટલે જ આ મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે. ગણેશ ચતુર્થીએ આ મંદિરોની ભવ્યતા અને માહોલ જ અલગ હોય છે. આ ગણેશોત્સવમાં તમે પણ બાપ્પા પ્રસિદ્ઘ મંદિરોના દર્શન કરવા માંગતા હોવ તો અહીં વાચો આ મંદિર વિશે માહિતી...
શ્રી સિદ્ઘિવિનાયક મંદિર મુંબઇ:
આ મંદિર ફકત મુંબઇ જ નહીં સમગ્ર દેશમાં પ્રસિદ્ઘ છે. અહીં ગણેશ ચતુર્થીના દિવસે તહેવાર જેવો માહોલ હોય છે. ગણેશ ચતુર્થીના થોડા દિવસોથી પહેલાથી જ મંદિર સજાવવાની તૈયારી શરૂ થઇ જાય છે. મુંબઇ સ્થિત આ મંદિરમાં મોટા-મોટા સેલિબ્રિટી આવતા રહે છે. એટલે કે ગણેશ ચતુર્થી કે કોઇ પણ દિવસે તમે અહીં દર્શન માટે જાઓ અને સેલિબ્રેટી મળી જાય તો નવાઇ નહીં. આ મંદિરનું નિર્માણ 1801માં લક્ષ્મણ વિથૂ અને દેઉભાઇ પાટિલ કરાવ્યું હતુ.
સિદ્ઘિવિનાયક મંદિર પહોંચવા માટે તમારે મુંબઇ જવું પડશે. મુંબઇના દાદર સ્ટેશનથી સિદ્ઘિવિનાયક મંદિર માત્ર 15-20 મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર છે. આ સિવાય મુંબઇના અન્ય કોઇ વિસ્તારમાં હોવ તો ટેક્સી કે બસ દ્વારા પ્રભાદેવી પહોંચવું ત્યં જ આ મંદિર આવેલું છે.
મંદિરનો સમય: સવારે 5:30થી 9:50 સુધી.
મોતી ડુંગર ગણેશ મંદિર જયપુર:
આ જયપુરનું સૌથી જાણીતું ગણેશ મંદિર છે જે મોતી ડુંગરીની પહાડી પર છે. આ મંદિરનું નિર્માણ 1761માં થયું હતુ. જોકે મંદિરમાં સ્થાપિત કરાયેલી મૂર્તિ 500 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવે છે. આ મંદિરમાં પ્રાંગણમાં શિવલિંગ છે જે માત્ર મહાશિવરાત્રિના દિવસે શ્રદ્ઘાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ નાગરા શૈલીમાં કરવામાં આવ્યું છે.
પ્લેન ટ્રેન અથવા તો બાય રોડ તમે જયપુર પહોંચી શકો છો. જયપુરથી આ મંદિર જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો.
મંદિરનો સમય: સવારે 5:30થી બપોરે 1:30 અને સાંજે 4:30થી રાત્રે 9 વાગ્યા સુધી
કનિપકમ વિનાયક મંદિર ચિત્તૂર:
આ પ્રાચીન મંદિર છે. આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલ રાજા કુલોથૂંગા ચૌલાએ કરાવ્યું હતુ. અહીંની ગણેશજીની મૂર્તિ સફેદ પીળા અને લાલ રંગની છે. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ છે. કહેવાય છે આ મંદિરના પવિત્ર જળમાં સ્નાન કરવાથી બધા પાપ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
આ મંદિર કનિપકમમાં આવેલું છે. જ્યાં દેશના ઘણા રાજ્યોમાંથી સીધી ટ્રેન અને ફ્લાઇટ ઉપલબ્ધ છે. તમે નજીકના રેલ્વે સ્ટેશન કે તિરુપતિ એરપોર્ટ સુધી પહોંચીને આ મંદિર જઇ શકો છો.
મંદિરનો સમય: સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી
દગડૂશેઠ હલવાઇ ગણપતિ મંદિર પૂણે:
આ મંદિરમાં ગણપતિજીની 7.5 ફૂટ ઉંચી અને 4 ફૂટ પહોળી મૂર્તિ છે. આ મૂર્તિ પર લગભગ 8 કિલો સોનું ચઢાવાયું છે. આ મંદિરનું નિર્માણ 18મી સદીમાં દગડૂશેઠ નામવા હલવાઇએ કરાવ્યું હતુ. 1893માં આ મંદિરનું નિર્માણ પુરુ થયું. અહીં ધામધૂમથી ગણેશ ચતુર્થી મનાવાય છે.
આ મંદિર પૂણેમાં આવેલું છે જે દેશના દરેક મુખ્ય શહેરથી રોડ હવાઇ અને રેલ માર્ગથી જોડાયેલું છે. પૂણે પહોંચીને ટેક્સી કે પબ્લિક ટ્રાન્સપોર્ટની મદદથી આ મંદિરે પહોંચી શકો છો.
મંદિરનો સમય: સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી