આવતી કાલે ભગવાન ગણેશજી વિદાય લેશે ત્યારે વિસર્જન માટે મનપા દ્વારા સ્પેશ્યલ તૈયારીઓ કરવામાં આવી છે આ માટે ગઈકાલે મળેલી મનપા કમિશનર અને ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો વચ્ચેની બેઠકમાં શ્રી ગણેશને સાબરમતીમાં નહી પરંતુ એ માટે બનાવેલા કુંડમાં વિસર્જન કરવાની વાત નક્કી થઈ છે.
સાબરમતીમાં વિસર્જનને મામલે મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બેઠક યોજીને વ્યુહરચના તૈયાર કરી છે. મેયર અને કમિશનરે શહેરીજનોને પર્યાવરણને જાળવવા અને સાબરમતીને સ્વચ્છ રાખવા નદીમાં ગણેશ વિસર્જન ન કરવા બાબતે અપીલ કરી હતી. આ બેઠકમાં જો ગણેશજીની મૂર્તિને સાબરમતીમાં વિસર્જન ન કરવા દેવામાં આવે તો પછી તાજીયાને પણ સાબરમતીમાં ઠંડા કરવાની મંજૂરી ન મળવી જોઈએ. ત્યારે મ્યુ. કમિશનરે જણાવ્યું હત કે તાજીયા માટે પણ મનપા (અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન) દ્વારા કુંડ બનાવવામાં આવ્યા છે જ્યાં તેને ઠંડા કરવામાં આવશે.
માટીના ગણપતિનું વિસર્જન સ્થાપનાની જગ્યાએ જ
શહેરમાં આ વખતે ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનો ટ્રેન્ડ રહ્યો હતો જેને પગલે તેમનું વિસર્જન પણ સ્થાપનની જગ્યાએ જ કરાશે એવી એસોસિએશન દ્વારા મ્યુ. કમિશનરને ખાતરી આપવામાં આવી છે. વળી બાકીના ગણેશજીને કુંડમાં જ પધરાવવામાં આવશે.
તાજીયા પણ સાબરમતીમાં નહી પરંતુ કુંડમાં ઠરાશે
શહેરમાં 93 તાજિયાને મંજૂરી મળી છે. મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાંથી જુલૂસ નીકળશે. આ તાજિયાને ખાનપુર દરવાજાથી આગળ રિવરફ્રન્ટમાં ઠંડા કરવા માટે કુંડ બનાવવામાં આવ્યા હોવાનું તાજિયા કમિટીના ચેરમેન જણાવ્યું હતુ. દરેક નંબરવાળા તાજિયા અહીં ઠંડા થશે અને તે માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
વિસર્જન માટે મનપા દ્વારા 60 કૃત્રિમ કુંડ તૈયાર
આ વખતે મનપા અને પોલીસ તંત્ર દ્વારા ગણેશ પ્રતિમાનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકાયો હોઇ તંત્ર દ્વારા રિવરફ્રન્ટ સહિત શહેરના વિભિન્ન સ્થળોએ કુલ 60 કૃત્રિમ કુંડ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે બનાવાઇ રહ્યા છે.
5 કરોડને ખર્ચે બન્યા છે વિસર્જન કુંડ
મનપાના ઇતિહાસમાં પહેલીવાર સૌથી વધુ ગણેશકુંડ બની રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન માટે ખાસ ગણેશકુંડ બની રહ્યા છે પરંતુ આ વખતે ખૂબ મોટી સંખ્યામાં ગણેશકુંડ બની રહ્યા હોઇ તેની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાંથી આશરે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.સામાન્ય સાઇઝના એક કૃત્રિમ કુંડનો ખર્ચ રૂ.4.5 લાખ થનાર છે. આ વખતે મૂર્તિની સંખ્યામાં પણ વધારો થયો હોઇ કૃત્રિમ કુંડની સંખ્યા ઉલ્લેખનીય બની છે.
કયા ઝોનમાં કેટલા કુંડ
શહેરના મધ્યઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોન એમ કુલ સાત ઝોન પૈકી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 16 ગણેશ કુંડ બનશે.જ્યારે મધ્ય ઝોનમાં 15, ઉત્તર ઝોનમાં 9, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 5, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 5, દક્ષિણ ઝોનમાં 6 અને પૂર્વ ઝોનમાં 4 કૃત્રિમ કુંડ બની રહ્યા છે. ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં ઇન્દિરાબ્રિજ નીચે 240 મીટર લાંબી અને 5.75 મીટર પહોળો અને 3 ફૂટ ઊંડો એવો વિશાળકાય આરસીસી કૃત્રિમ કુંડ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે.આ ઉપરાંત સાબરમતીમાં અચેર સ્મશાનગૃહ પાસે, પાલડીમાં કોમલ એન્કલેવ પાછળ, નવરંગપુરામાં વલ્લભસદન ખાતે 67 મીટર લાંબો 8 મીટર પહોળો અને 2.71 મીટર ઊંડો એવા ત્રણ મોટા કુંડ પણ મૂર્તિ વિસર્જન માટે તૈયાર થઇ રહ્યા છે. સૈજપુર તળાવ, મલેકસાબાન તળાવ, વડું તળાવ સહિતનાં સ્થળોએ પણ વિભિન્ન સાઇઝના કુંડ બનાવાઇ રહ્યા છે.
15 ક્રેનની ફાળવણી
સાર્વજનિક ગણેશોત્સવની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવા ક્રેન નહીં ફાળવાય તેવા તંત્રનાં કડક વલણનાં પગલે આ વખતે પીઓપીના બદલે માટીની મૂર્તિની સ્થાપનાનું વલણ ગણેશભક્તોમાં જોવા મળ્યું છે. અમુક જગ્યાએ માટીની મૂર્તિનું વિસર્જન જે તે સ્થળે જ કરાશે. જોકે તંત્ર દ્વારા કૃત્રિમ ગણેશ કુંડમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા 15 ક્રેનની ફાળવણી કરાશે.