અમદાવાદઃ આજે સમગ્ર રાજ્યમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન થઇ રહ્યું છે ત્યારે ગણેશ વિસર્જનને લઇને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. કૃત્રિમ તળાવો પણ ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અનેક જગ્યા પર ગણેશજીનું વિસર્જન થઇ રહ્યું છે.
ત્યારે અમદાવાદના સરસપુરના 5 યુવકો ગણેશ વિસર્જન દરમિયાન વાત્રક નદીમાં ડૂબ્યા છે. મહેમદાવાદના ગાડવેલ નજીક વાત્રક નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબ્યા છે. આ તમામ યુવકો સરસપુરના રહેવાસી છે. યુવકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
ધોળકામાં 3 બાળકો તળાવમાં ડૂબ્યા
બીજી બાજુ અમદાવાદ નજીક ધોળકામાં પણ 3 બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. જવારજ ગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી. તળાવમાં ડૂબેલા 3 પૈકી 2 બાળકોના મોત નિપજ્યાં છે. જ્યારે એકનો આબાદ બચાવ થયો છે.
ગળતેશ્વર મહીસાગર નદીમાં એક યુવક ડૂબ્યો
ખેડા જિલ્લામાં ગળતેશ્વરના મહીસાગર નદીમાં એક યુવક અચનાક ડૂબી જતા તરવૈયાઓએ યુવકની શોધખોળ શરૂ કરી છે. ગણેશ વિસર્જન દરમિયાન આ સમગ્ર ઘટના બની છે. નદીમાં વાણાંકબોરી ડેમમાંથી પાણી છોડાતા મહી નદી હાલ બે કાંઠે વહી રહી છે. પાણી છોડવાને કારણે આ દૂર્ઘટના બની હોવોની ભિતિ હાલ સેવાઈ રહી છે. જોકે યુવક લાપતા હોવાથી હાલ તેની શોધખોળ ચાલી રહી છે.
બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગંગેશ્વર મહાદેવ નજીક ગણેશ વિસર્જન દરમિયાન યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું છે.
છોટાઉદેપુરમાં ગણેશ વિસર્જન દરમિયાન દૂર્ઘટના બની છે. સંખેડા નજીક ધોળીગામના યુવકો ઉચ્છ નદીમાં ડૂબ્યા છે. ડૂબેલા 4 યુવકો પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં છે. જ્યારે 2 સારવાર હેઠળ છે.