સુરતના અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના તમામ ટ્યૂશન કલાસીસ પર તવાઇ બોલાવાઇ હતી. ટ્યૂશન કલાસીસના સંચાલકો માટે ફાયર બ્રિગેડની એનઓસી લેવી ફરજિયાત કરાઇ હતી. જેના કારણે શહેરભરના ટ્યૂશન કલાસીસના સંચાલકો દોડતા થઇ ગયા હતા.
મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગ પણ શહેરીજનોમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો, પરંતુ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી એવા ગજાનંદ ગણેશજીના સોમવારથી શહેરભરમાં આરંભાયેલા ગણેશોત્સવ દરમિયાન અમદાવાદમાં પ૦૧ સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે. જે માટે મોટા પંડાલ બંધાયા છે, પરંતુ એક પણ સાર્વજનિક ગણેશોત્સવના સંચાલક દ્વારા ફાયર બ્રિગેડની એનઓસી(NoC) લેવાઇ નથી.
શહેરભરમાં હજારો ગણેશભક્તો ઘરે ગણેશન સ્થાપના કરે છે
અમદાવાદમાં રાજ્યનાં વડોદરા, સુરત જેવાં શહેરની જેમ ગણપતિની ધૂમ બોલાવાઇ રહી છે. ભાવિક ભક્તોમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી આવતા દશામાના તહેવારની જેમ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્થી સુધી એમ ૧૦-૧૦ દિવસ સુધી ચાલતા ગણપતિના ઉત્સવની પાછળ શ્રદ્ધાળુઓ ભાવસભર બની રહ્યા છે. શહેરભરમાં હજારો ગણેશભક્તો દોઢ દિવસના ઘરે ગણેશની સ્થાપના કરીને ગજાનંદ ગણેશની સ્તુતિ-પૂજા કરે છે. કોઇક ગણરાયના ભક્તો પાંચથી સાત દિવસના ગણેશજી તો અન્ય કેટલાક ગૌરીમાતાની પણ સ્થાપના કરે છે.
અમદાવાદ પૂર્વ અને પશ્વિમમાં ઉત્સાહભેર ઉજવાય રહ્યો છે ગણેશોત્સવ
જે રીતે અમદાવાદીઓમાં ઘરે ઘરે ગણપતિની મૂર્તિની સ્થાપના કરીને દુંદાળાદેવની પૂજા-અર્ચના કરવાની લાગણીમાં વધારો થયો છે તે જ રીતે મુંબઇ, વડોદરા, સુરતની જેમ સિદ્ધિવિનાયકની મૂર્તિની સાર્વજનિક રીતે સ્થાપના કરવાનું વલણ પણ વધ્યું છે. સાર્વજનિક ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવાના મામલે પૂર્વ અમદાવાદ કે પશ્ચિમ અમદાવાદ એવો કોઇ ભેદભાવ રહેતો નથી.
પશ્ચિમ અમદાવાદના બોડકદેવ, થલતેજ, જોધપુર જેવા પોશ વિસ્તાર કે વેજલપુર, પાલડી, વાસણા જેવા મધ્યમવર્ગના નાગરિકોના વોર્ડમાં પણ ઠેર ઠેર સાર્વજનિક ગણેશોત્સવ ઊજવાઇ રહ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં પણ હવે મણિનગર પૂરતી સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરાતી નથી, પરંતુ ઇસનપુર, ઘોડાસર, ભાઇપુરા, હાટકેશ્વર, બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર વગેરે અન્ય મરાઠી ભાષીનું વર્ચસ્વ ન ધરાવતા વિસ્તારોમાં પણ દમામભેર સાર્વજનિક ગણેશોત્સવ ઊજવાઇ રહ્યો છે.
વિવિધ પ્રકારની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની
સાર્વજનિક ગણેશોત્સવમાં ગણેશજીની મોટી, સુશોભિત મૂર્તિ તેમજ સાંપ્રત સમયને અનુરૂપ કરાતા વિવિધ ડેકોરેશનનું ભાવિક ભક્તોમાં અનેરું આકર્ષણ જોવા મળે છે. આ વખતે તો ગણેશજી પોતે ફાઇટર પ્લેનમાં સવાર થઇને દુશ્મન દેશ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી રહ્યા હોય તેવું મનમોહક ડેકોરેશન પણ પહેલા દિવસથી ગણરાયાના ભક્તોને આકર્ષી રહ્યું છે. આવા ગણેશોત્સવની મુલાકાત લેવા સાંજ પડતાં સેંકડોની સંખ્યામાં ભક્તો ઊમટી પડે છે.
સાર્વજનિક ગણેશોત્સવમાં આગ-અકસ્માતમાં પૂરતી કાળજી લેવાની ફરજ બને છે
જે તે સાર્વજનિક ગણેશોત્સવના સંચાલકો દ્વારા દર્શનાર્થીઓની આગ-અકસ્માત જેવા વિષય સંજોગોમાં પૂરતી કાળજી લેવાની ફરજ બને છે. અચાનક ફાટી નીકળતી આગને બુઝાવવા પૂરતી સંખ્યામાં ફાયર એક્સટિંગ્વિશર હોવાં જરૂરી છે. પાણીથી ભરેલાં ડ્રમ કે બાલટી ઉપરાંત રેતીનો પૂરતો જથ્થો પણ આવશ્યક છે. શોર્ટસર્કિટથી અથવા ફુલપ્રૂફ ઇલેક્ટ્રિક વાયરિંગ ઉપર પણ એનઓસી આપતી વખતે ખાસ ભાર મુકાય છે. એક પણ વાયર જોઇન્ટ ખુલ્લા ન હોવા જોઇએ તેનું પણ ધ્યાન રખાય છે. ખાસ તો તમામ સાર્વજનિક ગણેશોત્સવના સંચાલકો માટે મંડપમાં પ્રવેશ અને બહાર નીકળવાના બે અલગ દરવાજા અને તે મુજબની કતારની વ્યવસ્થા ગોઠવવી અનિવાર્યરૂપ છે. આકસ્મિક સંજોગોમાં જો શ્રદ્ધાળુઓમાં
દોડાદોડી થાય તેવા સંજોગોમાં બહાર નીકળવાનો સ્વતંત્ર રસ્તો અને દરવાજો અગત્યનો બને છે.
ફાયર બ્રિગેડે ગત વર્ષે 50થી વધુ એનઓસી મેળવી હતી
ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર એનઓસી મેળવવા આવતી તમામ અરજી પર આ સઘળી બાબતો જોવાય છે. ત્યાર બાદ જ એનઓસી અપાય છે. ગત વર્ષે ગણેશોત્સવમાં ૪૦૦થી વધુ સાર્વજનિક ગણેશોત્સવની ધામધૂમ હતી. તેમ છતાં પ૦થી વધુ સાર્વજનિક ગણેશોત્સવના સંચાલકોએ ફાયર બ્રિગેડની એનઓસી મેળવી હતી, જ્યારે અન્ય કિસ્સામાં પોલીસ એનઓસી લેવાઇ હતી.
એક પણ સંચાલક દ્વારા એનઓસી મેળવવા અરજી નથી કરાઇ
જાણકાર સૂત્રો કહે છે કે આ વખતે સ્કૂલ, હોસ્પિટલ, દવાની દુકાનો વગેરે લોરાઇઝ બિલ્ડિંગનાં એકમોને ફાયર બ્રિગેડની એનઓસી આપવા તંત્ર દ્વારા ખાસ ૧૦ ટીમનું ગઠન કરાયું છે, પરંતુ આકસ્મિક રીતે ફાયર બ્રિગેડના મુખ્યાલયને તો છોડો, આ ટીમ સમક્ષ એક પણ સંચાલક દ્વારા એનઓસી મેળવવા અરજી કરાઇ નથી. આ બાબત વર્તમાન ગણેશોત્સવ માટેનું એક વિચિત્ર, પરંતુ હકીકતલક્ષી પાસું હોઇ આની મ્યુનિસિપલ વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઇ રહી છે.