સુરત: ગુજરાતના અનેક શહેરોમાં વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ નજીક આવતા જ ગણેશજીના સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે સુરત રાજકોટ સહિત રાજ્યભરમાં ગણેશ સ્થાપનાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગણેશ ભક્તો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માંડયા છે. આ તરફ સુરતમાં શ્રીજીના વધામણા માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. 50 હજારથી વધુ મૂર્તિઓ શહેરમાં સ્થાપિત થશે. 1 ફૂટથી લઈ 21 ફૂટ સુધીની મૂર્તિ સ્થાપિત થશે. મહારાષ્ટ્ર બાદ સુરત શ્રીજીની સ્થાપનામાં પ્રથમ ક્રમે આવશે.
બીજી તરફ રાજકોટમાં પણ ગણેશજીના સ્થાપનાની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. ગણપતિદાદાની માટીની મૂર્તિઓનું સૌથી વધુ વેચાણ થયુ છે. 1 ફૂટથી 5 ફૂટ સુધીની ગણપતિની મૂર્તિઓ જોવા મળી છે.
પર્યાવરણને બચાવવા ખાસ માટીની મૂર્તિઓનું વેચાણ વધુ થયું છે. 500થી વધુ નાના મોટા ગણપતિના સ્થાપનો થાય તેવા સંકેતો મળી રહ્યા છે. કારમી મોંઘવારી અને કાચો માલ મોંઘો બનતા આ વખતે બાપાની મૂર્તિના ભાવમાં વધારો થોડો જોવા મળ્યો છે.
આપને જણાવી દઇએ કે ગણપતિ મહોત્સને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ રાજ્યભરમાં તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. જો કે માટીની જ મૂર્તિ બનાવવામાં આવે અને વાતાવરણ તથા પાણીને પ્રદુષણ મુક્ત રાખવામાં આવે તેવી Vtvના દ્વારા અપીલ કરવામાં આવે છે.