આગામી દિવસોમાં દુંદાળાદેવ ગણપતિનો તહેવાર શરૂ થશે. છેલ્લા દાયકાથી મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિની મૂર્તિની ઘેર ઘેર તેમજ સાર્વજનિક રીતે સ્થાપના કરી ગણેશોત્સવ મનાવાય છે.
એક અંદાજ પ્રમાણે એકલા અમદાવાદમાં ગણેશજીની ૧.પ લાખ જેટલી મૂર્તિ બને છે. એક-એકથી ચડિયાતા સાર્વજિનક ગણેશોત્સવના મંડપ અને પ્રતિમાની સજાવટ પાછળ લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. આ ગણેશોત્સવ નિમિત્તે તંત્ર દ્વારા ચોક્કસ નિયમો ઘડાયા છે, જે મુજબ સાર્વજનિક ગણેશોત્સવની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરવા તંત્ર દ્વારા આ વખતે એક પણ ક્રેન નહીં ફાળવાય.
વિરાટકાય મૂર્તિનું વિસર્જન છેવટે સાબરમતી નદીમાં કરાય છે અને પીઓપીની બનાવટ ધરાવતી આ મૂર્તિઓ સાબરમતીનાં પાણી દૂષિત તો કરે છે, પરંતુ માટીની નહીં બનેલી હોઇ નદીમાં વિસિર્જત પણ થતી નથી. મ્યુનિસિપલ વર્તુળો કહે છે, આ વખતે તંત્ર દ્વારા ૧૦ મુદ્દાનો ખાસ પરિપત્ર બહાર પડાયો છે, જે મુજબ પોલીસ કમિશનરના આદેશ મુજબ મૂર્તિ બનાવવી પડશે. આ મૂર્તિનું વિસર્જન ક્યાં કરાશે તે બાબત દર્શાવવી પડશે. ટ્રાફિક નિયંત્રણ માટે સ્વયંસેવકોની વ્યવસ્થા ઊભી કરવી પડશે. મંડપ સ્થાપનની પરવાનગી જે તે ઝોનમાંથી મળશે. સ્વચ્છતાનું ઊંચું ધોરણ જાળવવું પડશે.
આ વર્ષે ગણેશજીની પ્રતીમાનું વિસર્જન નદી કે તળાવ જેવા વોટરબોડી સિવાયના તંત્ર દ્વારા સૂચવવામાં આવતા નજીકના વિસર્જન કુંડમાં જ કરવાનું રહેશે. આ અંગે પૂછતા એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર જયેશ એસ. પ્રજાપતિ કહે છે કે, આ ગણેશોત્સવમાં નદીમાં મૂર્તિના વિસર્જન માટે એક પણ ક્રેન ફાળવાશે નહીં.
દરમિયાન છેલ્લાં કેટલાંક વર્ષથી તંત્ર દ્વારા મૂર્તિ વિર્સજન માટે ખાસ ગણેશકુંડ બનાવાઇ રહ્યા છે, જે મુજબ પશ્ચિમ ઝોનમાં ૧૬, મધ્ય ઝોનમાં ૯ ગણેશકુંડ બનાવવાની હિલચાલ શરૂ થઇ છે. પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા, સાબરમતી, રાણીપ, ચાંદખેડા, પાલડી અને વાસણામાં બે બે, ગણેશકુંડ બનાવાશે. જ્યારે આ વખતે ગણેશકુંડ મોટા એટલે કે ૧૦૦-પ૦ ફૂટના હશે. ૬ ફૂટ ઊંડા હશે. એક ગણેશકુંડ બનાવવાનો ખર્ચ આશરે ૪.પ લાખ થશે. મધ્ય ઝોનમાં ગયા વર્ષે ૩ર હજાર મૂર્તિઓ આવી હતી. આ વખતે મૂર્તિની સંખ્યામાં પણ વધારો થશે.
દરમિયાન ગુલબાઇ ટેકરા ખાતે પીઓપીની મૂર્તિનું વેચાણ રોડ પર નહીં કરી શકાય. તાજેતરમાં પશ્ચિમ વિભાગના એસ્ટેટ વિભાગ દ્વારા રપ મૂર્તિ જપ્ત કરાઇ હતી.