વામન કદનો ગણેશ કે જે હવે પોતાનામાં પડેલી વિરાટ શક્તિનાં દર્શન કરાવવા જઈ રહ્યો છે. ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ખેવના રાખનારા ગણેશે આજ હક સાથે ભાવનગરની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. લાંબી કાયદાકીય લડત બાદ પ્રવેશ માટે પાત્ર ઠરતાં ગણેશ પરિવાર અને શાળાના શિક્ષકો સાથે ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા આવી પહોંચ્યો હતો.
દુનિયામાં ઘણા એવા લોકો છે જે પોતાની શારીરિક ખામીને પોતાની મજબૂરી નહીં પરંતુ તાકાત બનાવીને જીવતા હોય છે, આવા લોકો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે. ભાવનગરના તળાજાના ગોરખી ગામમાં રહેતા 18 વર્ષીય ગણેશ બારૈયાની હાઈટ માત્ર 3 ફૂટ છે અને વજન માત્ર 15 કિલો. છતાં તે જે સિદ્ધિ નોંધાવવા જઈ રહ્યો છે તેનો દેશ ખૂબ ટૂંકા સમયમાં સાક્ષી બનશે. ત્યારે શું છે તેની સિદ્ધિ તે જોઈએ આ અહેવાલમાં.
ગણેશે કરાવ્યાં વિરાટ શક્તિનાં દર્શનઃ
વામન કદનો ગણેશ કે જે હવે પોતાનામાં પડેલી વિરાટ શક્તિનાં દર્શન કરાવવા જઈ રહ્યો છે. ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ખેવના રાખનારા ગણેશે આજ હક સાથે ભાવનગરની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. લાંબી કાયદાકીય લડત બાદ પ્રવેશ માટે પાત્ર ઠરતાં ગણેશ પરિવાર અને શાળાના શિક્ષકો સાથે ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા આવી પહોંચ્યો હતો. આજે મેડિકલ કોલેજનો પ્રથમ દિવસ હોઈ અન્ય વિદ્યાર્થીઓની જેમ ગણેશને પણ આવકારવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ડોક્ટરી અભ્યાસના ગણવેશમાં સજ્જ ગણેશના ચહેરા પર ડોક્ટર બનવાનું સપનું અને લડાઈના અંતે મળેલી જીતની ખુશી ઝળકી રહી હતી.
ગણેશનું કદ ભલે નાનું હોય પરંતુ તેના સપનાઓ અને તેની મહેનત વિરાટ છે. ડોક્ટર બનીને ગામડાઓમાં દર્દીઓની સારવાર કરવાનું સપનું તેને સખત મહેનત કરવા પ્રેરી રહ્યું છે. એટલું જ નહીં આ સપનાને આડે આવનારી દરેક મુસીબતનો સામનો કરવાની પણ તે તાકાત ધરાવે છે. આજે તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેને કાયદાકીય સંઘર્ષની ખૂબ લાંબી મંજલ કાપવી પડી છે.
ભાવનગર જિલ્લાના તળાજાના ગોરખી ગામે ખેતમજૂરીનું કામ કરતા વિઠ્ઠલભાઈએ બારૈયાને સંતાનોમાં 7 પુત્રીઓ અને 2 પુત્રો છે. 2 પુત્રો પૈકીના ગણેશે 9માં ધોરણથી જ ડોક્ટર બનવાના સપનાના બીજ મનમાં રોપી દીધાં હતાં. ગણેશે ધો.12 સાયન્સમાં તળાજાની નિલકંઠ વિદ્યાપીઠમાં અભ્યાસ કરી 87.78 પીઆર મેળવ્યો હતો. ત્યાર બાદ ગણેશ MBBSમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં 223 માર્કસ્ સાથે ઉત્તીર્ણ થયો હતો.
આખરે મક્કમતાએ અપાવી અનોખી જીતઃ
જો કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ગણેશની ઓછી ઊંચાઈના કારણે MBBSમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેની સામે નિલકંઠ વિદ્યાપીઠના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે પર્સન વિથ ડિસએબિલિટી એક્ટ-2016 હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે આદેશ આપ્યો હતો. આ એક્ટ રચવામાં આવેલી સમિતિએ કહ્યું હતું કે, 40 ટકાથી 60 ટકા વચ્ચેની દિવ્યાંગતા ધરાવનારી વ્યક્તિ મેડિકલ કોર્સમાં એડમિશન લેવા માટે હકદાર છે.'
આજે ગણેશ તેની કોલેજમાં પ્રથમ દિવસે આવ્યો ત્યારે તેમની ઓછી ઊંચાઈના કારણે અન્ય વિદ્યાર્થીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં તેમને મેડિકલ કોલેજના સત્તાવાળા દ્વારા તમામ પ્રકારની સુવિધા આપવાની ખાતરી આપવામાં આવી છે. ત્યારે આશા રાખીએ કે ગણેશનું ડોક્ટર બનવાનું અને ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાનું સપનું પૂરું થાય.