ગણેશોત્સવના દસ દિવસોમાં ગણેશજીની આરાધના ખૂબ મંગળકારી માનવામાં આવે છે. તેમના ભક્ત વિવિધ પ્રકારથી તેમની આરાધના કરે છે. અનેક શ્લોક, સ્તોત્ર, જાપ દ્વારા ગણેશજીને મનાવવામાં અવે છે. તેમાંથી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ ખૂબ મંગળકારી છે દરરોજ સવારે શુદ્ધ થઈને આ પાઠ કરવાથી ગણેશજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
કોઈને એમનેમ લીલા લહેર હોય છે, પૂર્વ જન્મનાં પુણ્ય કર્મોનાં પ્રતાપથી આ જન્મે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જે ઈશારો આપે છે કે યોગ ક્ષેમ તો તમારું વહન થશે હવે ઈશ્વરમાં મન લગાડી તમારું પરલોક સુધારો. અને, બીજી બાજુ ઘણા લોકો મહેનત કરી કરી ઘસાઈ જાય છે પણ સમૃદ્ધિ અને સફળતા દૂર દૂર સુધી દેખાતાં જ નથી. આમ કેમ? તેમનાં પૂર્વ જન્મનાં પાપ કર્મો રૂપી ફળ આ જન્મે તેમને આગળ વધવામાં બાધા કરે છે.
આંગણું ઝાડુથી, ઘર કપડાંથી અને શરીર પાણીથી સ્વચ્છ કરશો.પણ મન અને બુદ્ધિ સ્વચ્છ કેવી રીતે કરશો? ખોટી દિશામાં જમવા બેસવાથી, ખોટી જગ્યાએ શૌચ કરવાથી માંડીને બ્રહ્મ મૂહૂર્તમાં ના ઊઠવાથી લઇ ને, રાંધવા, ખાંડવા કે કચરો વાળવાથી લઇ મનુ સ્મૃતિમાં દર્શાવેલ ખોટા આચાર વિચારથી કરોડો કલ્પોનાં પાપો જમા થયાં હોય છે. દુષ્કૃત્યોનાં પરિણામરૂપ પાપની (મન તથા બુદ્ધિ ઉપર થયેલ) માઠી અસરો ધોવાનાં સાધનો શાસ્ત્ર કથિત નીચે પ્રમાણે છે.
શ્રદ્ધા અને વિશ્વાસની પૂંજીથી મેળવેલ ભક્તિના રસથી, બુદ્ધિ ઉપર લાગેલ અહંતા અને મમતાની બાજેલી છારીઓ ઓગળશે, પછી, તત્વ-જ્ઞાનના ગોળા બુદ્ધિમાં ઊતરી શકશે જેથી અજ્ઞાન દૂર થશે. અજ્ઞાન દૂર થતાં સત્ય પ્રકાશશે જેનાં તાપથી દુષ્કૃત્યો એવી રીતે ભસ્મ થશે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિથી રાખ થતા કાષ્ઠ. જે મનુષ્ય ખૂબ સમાહિત થઇ. રામ ગીતા (અધ્યાત્મ રામાયણ) નું પઠન રોજ એક માસ સુધી કરે છે તેનાં સર્વ પાપો નાશ પામે છે. બ્રહ્મહત્યા જેવાં મહાપાપો પણ નાશ પામે છે. દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ જે મનુષ્ય નિત્ય પ્રાત: કાળ અને સાયં કાળ કરે છે તેનાં સાત જન્મોનાં પાપો તત્કાળ નાશ પામે છે.દેવી અથર્વશીર્ષ અથવા ગણપતિ અથર્વશીર્ષ (ફળશ્રુતિ સહિત) જે મનુષ્ય પ્રાત:કાળે કરે તો રાત્રિનાં સમસ્ત પાપો અને જો રાત્રે કરે તો આખા દિવસનાં સર્વ પાપો નિસ્સંદેહ નાશ પામે છે.ત્રિદલ બીલીપત્ર ભગવાન શિવને ભાવથી અર્પણ કરવાથી ત્રણ જન્મનાં પાપો નાશ પામે છે. કંટાળતા કંટાળતા પણ રામ નું નામ લેવાથી અનેક પાપો નાશ પામે છે.
ભગવાન વિષ્ણુની ભક્તિ રાખી, શ્રદ્ધાથી એકાદશીનાં વ્રતો કરવાથી સુમેરુ જેવડાં મોટાં મોટાં પાપો પણ મટી જાય છે (નાશ પામે છે). જે નિત્ય ત્રિકાળ સંધ્યા કરે છે તેના અહોરાત્ર (દિવસ-રાત)નાં જાણતા-અજાણતાં કરેલ સર્વ પાપો નાશ પામે છે. પશ્ચાતાપ પણ એક અગ્નિ છે જેમાં દુષ્કૃત્યો બળીને ભસ્મ થાય છે. નિદ્રામાંથી જાગ્યા પશ્ચાત સ્વપ્નની ક્રિયા જેમ નાશ પામે છે, એવી જ રીતે હું બ્રહ્મ છું, એવું જ્ઞાન થઇ જવાથી કરોડો કલ્પોનાં સંચિત કર્મોનો નાશ થાય છે. વર્તમાન ભાગ્યને ભોગવીને, નવા નવા સંકલ્પો અને મહેચ્છાઓ ન કરતા, હાલનાં આવી પડેલાં કર્મોમાં આળસ ન કરીને કુશળતાપૂર્વક નિષ્કામ કર્મો કર્યે જવાં.
આ જ એક રસ્તો છે સંસારના આ અનંત ચક્કરમાંથી નીકળવાનો. અમુક જ હોશિયાર લોકો હોય છે જે આ ક્રિયાને ઝડપી કરવા માટે કર્મ બાળવાનાં (પાપ ધોવાનાં) સાધનોનો ઉપયોગ કરી લે છે. ચાલો આપણા રોજિંદાં નિત્ય, નૈમિત્તિક તથા નિત્ય-નૈમિત્તિક કર્મો કરતાં કરતાં પાપ સમૂહોનો પણ નાશ કરીએ જેથી આપણું કલ્યાણ ઝડપથી થાય. પાપને ઢાંકવું વ્યર્થ છે. અધર્મથી પ્રાપ્ત ધનથી જો મનુષ્ય પોતાના છિદ્રો (ભૂલ / પાપ) ઢાંકવા જાય છે તો એ છિદ્ર ન ઢંકાઈને ઊલટું બીજાં છિદ્રો ઉઘાડાં પડી જાય છે.