ભગવાન ગણેશને અનેક નામથી ઓળખવામાં આવે છે. મંગલમૂર્તિ, વિઘ્નહર્તા, ગજાનન અને એકદંત, પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો તે ગણેશજીને એકદંત શા માટે કહેવામાં આવે છે. ગણેશજીના તૂટેલા દાંત અને એકદંતના નામે ઓળખાવવા પાછળ પણ કારણ છે.
ગણેશોત્સવ સમયે જાણો ગણેશજીનું આ રહસ્ય
આ કારણે ગણેશજીનો એક દાંત હોય છે તૂટેલો
એકદંત નામ પાછળ પણ છે ખાસ વાર્તા
તમે અનેક વખત વિચાર્યું હશે કે ગણેશજીની મૂર્તિમાં એક દાંત શા માટે તૂટેલો હોય છે. જો તમે એવું વિચારતા હોવ કે આ તો આવું જ હોય છે તો તે ખોટું છે. તેમનો એક દાંત તૂટેલો હોવાના કારણે જ તેમનું નામ એકદંત પડ્યું છે. આજે અમે જણાવીશું કે શા માટે ગણેશજીનો એક દાંત તૂટેલો રહે છે.
એકદંત નામ પાછળ છે આ રહસ્ય
એકવાર શિવજીના પરમભક્ત પરશુરામ ભોલેનાથને મળવા કૈલાશ પર્વત પર આવ્યા. ભોલેનાથ ધ્યાન કરી રહ્યા હતા તેથી ગણેશજીએ તેમને રોક્યા, અને તેઓ ભોલેનાથને મળ્યા વિના પરત ન ફર્યા. ગણેશજીએ તેમને અનેક વાર રોક્યા પણ પરશુરામ ન માન્યા. તેઓ ક્રોધિત થયા અને ગણપતિને યુદ્ધ માટે લલકાર્યા, પરશુરામનો ગણપતિ પર પ્રહાર નિષ્ફળ નીવડ્યો. તેઓ વધારે ક્રોધિત થયા અને તેમની પર પ્રહાર કર્યો. ગણેશજીએ પિતાના શસ્ત્રનો આદર કરતાં પલટવાર ન કર્યો અને તેમનો એક દાંત તૂટી ગયો. આ સમયે તેમને ખૂબ પીડા થઈ. તેમનો અવાજ સાંભળીને માતા પાર્વતી આવ્યા અને ગુસ્સે થયા. માતા પાર્વતી તરત જ દુર્ગા અવતારમાં આવ્યા. આ જોઈ પરશુરામ સમજી ગયા કે તેઓએ ભૂલ કરી છે. તેઓએ ક્ષમા માંગી. આ સાથે ગણેશજીને તેજ, બળ, કૌશલ અને જ્ઞાનનો આર્શિવાદ પણ આપ્યો. આ દિવસથી તેઓ એકદંતના નામે ઓળખાયા.