ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 13 સપ્ટેમ્બર એટલે કે આજે ગણેશ ચતુર્થી છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા મહારાષ્ટ્રમાંથી શરૂ થઇ હતી. આજની તારીખમાં ગણેશ ઉત્સવને દક્ષિણ અને પ્રશ્ચિમ રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થાય છે અને કુલ 10 દિવસ સુધી ચાલે છે. 11માં દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. જોકે ગણેશજીની પૂજા ખાસ રીતે કરવામાં આવે છે જાણો તે વિશે...
પૂજાવિધિ:
ગણેશ ચતુર્થીની પૂજા માટે સૌથી પહેલા બજારમાંથી ગણપતિની એક નવી પ્રતિમા લઇને આવો. જો તમે ઘરમાં ગણપતિની સ્થાપના કરવા ન માગતા હોવ તો પૂજામાં રહેલી અક્ષત સોપારીને પમ ગણપતિ તરીકે પૂજા કરી શકાય છે અને પછી પૂજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે.
ગણપતિની ઘરમાં બિરાજમાન કરતા પૂજા સ્થાનની સફાઇ કરો. હવે આ જગ્યાએ લાલ કપડું પાથરી તેના પર ચોખાની ઢગલી કરો અને પછી તેના પર ગણપતિની સ્થાપના કરો. ત્યારબાદ ગણપતિને દૂર્વા તથા પાન દ્વારા ગંગાજળથી સ્નાન કરાવો. સ્નાન બાદ ગણપતિને પીળાં વસ્ત્ર અર્પિત કરો. ત્યારબાદ કંકુનું તિલક કરીને અક્ષત લગાવો. પુષ્પ ચઢાવો અને પછી ગણપતિના પ્રિય એવા મોદકનો ભોગ લગાવો. તેમજ ઘરના દરેક સભ્ય સાથે મળીને ગણપતિના ભજન કિર્તનમાં ભાગ લો અને ગણપતિને દરરોજ પાંચમેવાનો ભોગ જરૂરથી લગાવો.
ગણપતિના સ્થાપનની નજીક તાંબા અથવા ચાંદીના કળશમાં પાણી ભરીને રાખો. આ કળશને ગણપતિની જમણી બાજુ રાખો. આ કળશની નીચે ચોખાની ઢગલી કરો અને કળશને નાડાછડીથી જરૂર બાંધો. ગણપતિની જમણી તરફ ઘીનો દિવો સ્થાપિત કરો. દિવાને પણ જમીન પર નહીં પણ ચોખાની ઢગલી કરીને તેના પર રાખવો જઇએ. પૂજાનો સમય નિશ્ચિત કરો. જો તમે આ દરમિયાન કોઇ મંત્ર જપનું વ્રત કરો છો તો તે દરરોજ એક જ સમયે કરવું જોઇએ.
ગણપતિની સ્થાપના પછી જમણા હાથમાં ચોખા અને ગંગાજળ લઇને સંકલ્પ કરો. જેમાં બોલો કે ''અમે ગણપતિ (જેટલા દિવસ સુધી રાખવાના હોય એટલા)ને દિવસો માટે અમારા ઘરમાં સ્થાપિત કરી પ્રતિદિવસ વિધિવિધાનથી પૂજા કરીશું.'' ગણપતિની સ્થાપના 3 5 7 9 અથવા 11 દિવસ માટે કરવામાં આવે છે. તમારી શક્તિ અનુસાર તમે જેટલા દિવસ સ્થાપિત કરી શકો છો તેટલા દિવસનો ઉલ્લેખ કરવો જોઇએ.
ઑમ ગણેશાય નમ: નો જાપ કરતા સ્થાપિત કરવામાં આવેલી ગણપતિની પ્રતિમાને પ્રણામ કરો અને તેમની વિનંતી કરો કે ''પ્રભુ તમે જેટલા દિવસો માટે અમારા ઘરમાં સ્થાપિત કરીને પૂજા કરવા માગીએ છીએ. આપ રિદ્ઘિ-સિદ્ઘિ અને પુત્રો લાભ-શુભ સાથે અમારા ઘરમાં બિરાજમાન થાવ. આપની પૂજા દરમિયાન જો અમારાથી કોઇ ભૂલ થઇ જાય તો કૃપા કરીને અમને તમારા બાળકની જેમ માફ કરો. અમારા પર સદા તમારી દ્રષ્ટિ રાખો.''