ગાંધીનગર: ગીરના જંગલોમાં થયેલા સિંહોના મોતના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે સિંહોના મોતના મામલે તપાસ કરવામાં આવશે. વનવિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય પરીક્ષણની પણ તપાસ કરવામાં આવશે.
આ સાથે જ સિંહના પોસ્ટમોર્ટમના રિપોર્ટની તપાસમાં કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે પગલા પણ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગીરના જંગલમાંથી તાજેતરમાં 11 સિંહના મોત થયા બાદ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ જૂનાગઢમાં પહોંચી છે. વનવિભાગની ટીમ દ્વારા સિંહના મોત અંગે તપાસ કરવામાં આવશે. ભેદી રોગથી સિંહના મોત થયાં હોવાની અધિકારીઓને આશંકા છે.
તો આ તરફ આ મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ દુ:ખ વ્યક્ત કરેલ ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જાહેર માધ્યમો સાથે કરેલ વાતચીતમાં જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય અંગેનું પરીક્ષણ કરવામાં આવશે તેમજ આ મામલે જો કોઇ અધિકારીની ભૂલ છતી થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે સિંહોના મોતના રિપોર્ટ બાદ સરકારે ગંભીરતા દાખવી છે.આ સાથે વન વિભાગ પણ સફાળું જાગૃત થયું છે અને 12માં થયેલ 11 સિંહના મોત મામલે તપાસ હાથ ધરી છે.