વનમંત્રી કિરીટ સિંહ રાણાની જાહેરાત, ટૂંક સમયમાં વન રક્ષકની 334 જગ્યાઓ માટે કરવામાં આવશે સીધી ભરતી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે મોટા સમાચાર
વન રક્ષકની ભરતીને લઈને ટૂંક સમયમાં હાથ ધરાશે પ્રક્રિયા
વન મંત્રી કિરીટ સિંહ રાણાએ કરી જાહેરાત
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાં બાદ સરકારી ભરતીની સીઝન આવી છે. ત્યારે સરકારી પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાઓ માટે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે.
334 જગ્યાઓ માટે હાથ ધરાશે પ્રક્રિયા
રાજ્ય સરકારના વનમંત્રી કિરીટસિંહ રાણાએ પત્રકાર પરિષદને આજે સંબોધન કરતા કહ્યું હતું કે, નવી ભરતીઓને લઈને ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ વનમંત્રીએ જણાવ્યું હતું કે, વધુ લાંબો સમય નહીં લેવામાં આવે. ટૂંક સમયમાં જ વન રક્ષકની 334 જગ્યાઓ માટેની સીધી ભરતી પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવશે.
૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન અરજી કરનાર ઉમેદવારોની અરજી પણ ગણાશે માન્ય
વનરક્ષક વર્ગ-૩ ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે. આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે.
અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયામાં જે અરજદારોએ ''સામાન્ય કેટેગરી"ના ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય તેઓ જો "આર્થિક નબળાં વર્ગ" કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓને “ ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ” ( OJAS ) ઉપર આ વિગતો ભરવા માટે ૧૦ (દશ) દિવસનો સમય આપવામાં આવનાર છે. તો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ તા.૦૧-૦૨-૨૦૨ર ની તારીખે માન્ય હોય તેવા સક્ષમ અધિકારીના " આર્થિક નબળા વર્ગ પ્રમાણપત્રની વિગતો ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ" ( OJAS ) ઉપર અપલોડ કરવાની રહેશે.
OJAS પોર્ટલ પરથી ભરી શકાશે ફોર્મ
કિરીટ સિંહ રાણાએ વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયાને લગતી કોઇપણ અધ્યતન માહિતી કે અન્ય વિગતો માટે તેઓએ નિયમિતપણે OJAS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.વર્ષ ૨૦૧૮માં હાથ ધરેલ અને અનિવાર્ય કારણોસર મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા જ હાથ ધરવામાં આવનાર હોઇ આ ભરતી પ્રક્રિયામાં કોઈ નવી અરજી કરવાની મંજૂરી આપવામાં આવનાર નથી. આ ૩૩૪ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલ જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.