ગાંધીનગર: 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે લોકાર્પણ પૂર્વે સરકાર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા યાત્રામાં 10 હજાર ગામમાં 50થી વધુ એકતા રથ પરિભ્રમણ કરશે. સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના મંત્ર સાથે સરદાર સાહેબના વિચારોથી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બે તબક્કામાં યોજાનારી એકતા યાત્રાનો પ્રથમ તબક્કો 20મી ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી યોજાશે જ્યારે બીજો તબક્કો 12 નવેમ્બરથી 21મી નવેમ્બર દરમિયાન યોજાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી બારડોલીથી એક્તા યાત્રાની શરૂઆત કરાવશે તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરમસદથી યાત્રાનું પ્રસ્થાન કરાવશે. તો અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ અને પદાધિકારીઓ યાત્રાનું પ્રસ્થાન કરાવશે.
ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઇ પટેલને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાપર્ણ કરવાના છે તે પહેલા ગુજરાત સરકાર દ્વારા આજથી 2 તબક્કામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય સરદાર સાહેબના વિચારોથી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો છે.