ગાંધીનગર સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આજે આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે. કેસની ગંભીરતાને ધ્યાને લઈને કોર્ટે સજા સંભળાવી છે. ગઈકાલે ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો હતો.
આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં દોષિત
ગાંધીનગર સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
બચાવ પક્ષે આસારામની સજા ઓછી કરવાની કરી હતી માંગ
સુરતની એક મહિલાએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
ગાંધીનગરની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે રૂ. 50,000નું વળતર પીડિતાને ચૂકવવા પણ આદેશ કર્યો છે. આસારામ દુષ્કર્મ કેસમાં 9 વર્ષથી જેલમાં બંધ છે. સુરતના 2001ના ચકચારી દુષ્કર્મ કેસની ફરિયાદ વર્ષ 2013માં કરવામાં આવી હતી અને 2023માં સુનાવણી પૂર્ણ થયા બાદ ગતરોજ તેને દોષિત જાહેર કરાયો હતો. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સરકારે પક્ષે આસારામને આજીવન કેદની માંગ કરી હતી. મહત્વનું છે કે, 1997થી 2006 દરમિયાન મહિલા સાથે શારીરિક શોષણ થયું હતું.
સોમવારે કોર્ટે આપ્યો હતો દોષિતનો ચુકાદો
મહત્વનું છે કે, સુરતની મહિલાએ આસારામ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવ્યા બાદ સુરતમાં 2013માં આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં તે કેસ ચાંદખેડા ટ્રાન્સફર થયો હતો. આ તરફ ચાંદખેડા કેસ ટ્રાન્સફર થતા ગાંધીનગરની કોર્ટમાં સોમવારે બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો હતો અને બાકીના છ લોકો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આશારામને આજે કોર્ટે સજા સંભળાવી છે.
આસારામ સામે કેસ શું છે?
- બળાત્કારી આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
- આસારામને 50 હજારનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો
- ગાંધીનગર કોર્ટે સોમવારે દુષ્કર્મના કેસમાં આસારામને ઠેરવ્યો હતો દોષિત
- આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા.
- ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે.
- 2013માં આસારામ સામે સુરતની એક મહિલાએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
- આ કેસમાં અન્ય 6 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
- ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને અનેક કલમો હેઠળ ઠેરવ્યો હતો દોષી
- આસારામ પર 376(2)C, 377, 354, 342, 357 સહિત 506(2) અંતર્ગત કલમો નોંધાઈ
પીડિતાના શું છે આરોપ?
- ગુરુપૂર્ણિમાના દિવસે આસારામે મને વક્તા તરીકે પસંદ કરી હતી
- ત્યારબાદ આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર બોલાવવામાં આવી હતી
- આશ્રમના અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા
- જ્યાં આસારામે મને હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી
- બાદમાં મને ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું
- માલિશ કરતા સમયે આસારામે શરૂ કર્યા હતા અડપલાં
- મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ આસારામે મને સમર્પણ કરવા માટે કહ્યું
- બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ આસારામે અકુદરતી રીતે પણ કર્યું હતું દુષ્કર્મ
છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું હતું કે,'છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.'