રાજ્યમાં નર્મદા કેનાલની અલગ અલગ બ્રાન્ચમાં ગાબડાં પડે ત્યારે અધિકારીઓનાં ભ્રષ્ટાચારનો હવાલો આપવામાં આવે છે હવે સરદાર સરોવર નર્મદા નિગમમાં અધિકારીઓનાં મોટા ગેરવહીવટની વિગતો સામે આવી છે.
નિગમ કૌભાંડી એજન્સીઓ અને અધિકારીઓને છાવરતું હોવાનો આક્ષેપ
નિગમમાં કરોડો રૂપિયાનાં કૌભાંડો કરનારા પર ઉપરી અધિકારીઓ મહેરબાન હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર નિગમમાં રહેલાં કૌભાંડી અધિકારીઓને પ્રમોશન આપવાની હિલચાલ તેજ થઈ રહી છે.
કૌભાંડ કરનારા 12 અધિકારીઓ ફરજ પર હોવાનો ઘટસ્ફોટ
માળીયા બ્રાંચ કેનાલમાં કરોડોનું કૌભાંડ કરનારા આશરે 12 જેટલા અધિકારીઓ આજદિન સુધી ફરજ પર હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહત્વની વાત તે છે કે જનતાનાં કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા આ કૌભાંડી અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી નથી. સરકાર સરોવર નિગમનાં અધિકારીઓ પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે માળીયા બ્રાન્ચ કેનાલમાં કૌભાંડ આચારનારા ભ્રષ્ટાચારીઓને પ્રમોશન મળી શકે તે માટે ચાર્જશીટ નથી રજૂ કરાઇ.
વિધાનસભા સુધી પડ્યા પઘડા
બીજી તરફ ડેલોઇટનાં રિપોર્ટને કેમ નથી જાહેર કરવામાં આવતો તેવા સવાલો ઉપસ્થિત થયાં છે. અત્રે નોંધનીય છે કે સરદાર સરોવર નર્મદા નિગમના કૌભાંડનાં પડઘા છેક વિધાનસભા સુધી પડેલા હોવા છતાં કૌભાંડી એજન્સીઓ અને અધિકારીઓને નિગમ છાવરી રહ્યું છે. વધુમાં નિગમનાં આસિ. ઈજનેરને ડેપ્યુટી ઈજનેરનું પ્રમોશન આપવા પણ ગોઠવણો થઈ હોવાનું સામે આવ્યું છે. આમ જનતાના નાણાંનો ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ સામે નિગમ મૌન રહેતા રહસ્યનાં વમળો સર્જાયા છે.
કેનલોમાં છાસવારે પડી રહ્યા છે ગાબડા
અત્રે નોંધનીય છે કે નર્મદા કેનાલની બ્રાન્ચ કેનલોમાં છાસવારે ગાબડાં પડતું હોવાનું સામે આવ્યું છે. આ કેનાલોની બનાવટમાં અધિકારીઓ હલકી કક્ષાનું મટિરિયલ વાપરતાં હોવાની માહિતી જગજાહેર છે. નર્મદા નિગમનાં ઉપરી અધિકારીઓએ પણ કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી ના કરતાં તેમજ તેમને પ્રમોશન આપવાની તજવીજ હાથ ધરતાં ભ્રષ્ટ અધિકારીઓને ફાવતું કરવાની મુકસંમતી મળી હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.