ગાંધીનગર: આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટ મળશે. આ કેબિનેટમાં રાજયની કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે સમીક્ષા કરવામાં આવશે. તેમજ પાકિસ્તાનમાં આતંકી કેમ્પોના સફાયા બાદ સરહદી જિલ્લાઓની સુરક્ષા પર પણ ચર્ચા થશે.
આ ઉપરાંત PM મોદીના 4 અને 5 માર્ચના ગુજરાતના પ્રવાસને લઈને ચર્ચા થશે. સ્વાઈન ફલૂના કહેરને લઈને આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાં સંદર્ભે પણ સમીક્ષા થશે. ખેડૂતોને આપવામાં આવેલી સબસીડીની પણ સમીક્ષા થશે.
દર બુધવારે યોજાય છે બેઠક
ઉલ્લેખનીય છે કે,દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
રાજ્યની સીમાઓ પરના સુરક્ષા અંગે કરાશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, ગતરોજ ભારતના 12 મીરાજ વિમાનોએ POK માં પ્રવેશીને 1000 કિલો બોમ્બનો વરસાદ કર્યો હતો અને અનેક આતંકીઓનો ખાત્મો બોલાવ્યા બાદ ભારત સહિત અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની વિવિધ સીમાઓ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે જેની ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.