ઢબુડીમાના નામે ઢોંગ કરનાર ધનજીએ પોલીસ તપાસમાં ગોળ ગોળ વાત કરી હતી. ક્યારેક કીધુ કે, દીકરી બનીને સપનામાં આવતા હતા માતાજી એટલે મેં ઢીંગલીનો વેશ કાઢ્યો. માતાજીને નામે આવા ધૂતારા પ્રજાને લૂંટવા સિવાયનું કંઈ કામ કરતા નથી. ત્યારે પોલીસ દ્વારા ધરપકડ થયા બાદ આજે ધનજીનું નિવેદન પોલીસે સરાજાહેર કર્યુ હતુ. જો કે આ નિવેદનની પોલીસ ઉલટ તપાસ લેશે.
ગાંધીનગર પોલીસે ધનજી ઓડ ઉર્ફે ઢબૂડીમાંની પૂછતાછ કરી હતી જેમાં ધનજી પોતાના 3 ભાઈઓ માતા બે બાળકો સહિત આખા પરિવાર સાથે ઓડમાં રહે છે. ધનજી ઓડ ના બે બાળકોના નામ વિપુલ અને મહેશ છે.
પોલીસ તપાસમાં શું કહ્યુ ધનજીએ?
ધનજીએ કબૂલ્યુ હતુ કે, 'તેને દીકરી નથી અને તેને કાયમથી દીકરીની આશા હતી. 2017માં ઢબૂડી જેવી દીકરી સપનમાં આવતી હતી એટલે મેં ઢબૂડીનો વેશ ધારણ કર્યો હતો. હું કોઈ પણ પાસેથી પૈસા લેતો નથી. ના હું કોઈ રોગીની દવા બંધ કરાવું છું. મોમાઇ માતાના ટ્રસ્ટમાં પૈસા જમા થાય છે જે પણ ભક્તો ભેટ આપે ટ્રસ્ટમાં જમા થાય છે. ભક્તોને ભીડ પડે એટલે ઢબુડી મા તેમની વ્હારે જાય છે.'
VTVએ કર્યો હતો પર્દાફાશ
એક મહિના પહેલા જ્યારે ઢોંગી ઢબુડીની પાલનપુરમાં ગાદી હતી ત્યારે પોલીસ અને ધારાસભ્યનો દંડવત કરતો વીડિયો વાઈરલ થયો હતો. VTVની ટીમે આ અંગે તપાસ કરતા ધ્યાને આવ્યું કે, ગાંધીનગરનો ધનજી ઓડ ઢબુડી મા બની લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતી હતી. ત્યારબાદ ઢબુડીના જ એક ભક્તે ફરિયાદ કરતા આખો મામલો સામે આવ્યો હતો.
ચોકલેટ ખાવનો ધનજી ઉર્ફે ઢબુડી માને છે શોખ
ઢબુડીને વિદેશી ચોકલેટનો અનોખો શોખ પણ હતો, જેથી તેમના ભક્તો જ્યારે સ્વિડન, યુ.કે, યુએસ સહિતના દેશમાંથી આવતા લોકો મોટા પ્રમાણમાં વિદેશી ચોકલેટ પ્રસાદ રૂપે લઈ આવતા હતા. આ સિવાય ઢબુડીને (ઢીંગલી), બદામ પિસ્તા, ચોકલેટ સહિતની ચીજવસ્તુઓ પ્રસાદીના સ્વરૃપમાં તેને ધરાવવાની પરંપરા હતી. આ તમામ વસ્તુઓ ઢબુડી માતાના મળતિયાઓ જ વેચતા હતા.
નાયબ કલેક્ટર અને ધારાસભ્યો મારતા આંટા
રૂપાલમાં તેના દરબારમાં દસથી પંદર હજાર લોકો આવતા હોવાનું ગ્રામીણો જણાવી રહ્યા છે. આ જગ્યા માટે ઢબુડી માતા ભાડુ પણ ભરતો હતો. એક ડેપ્યુ. કલેક્ટર કક્ષાના અધિકારી પણ આ ધુતારાની મોહમાયાથી અભિભુત હોવાના તથા પોતાના ભાઈનું કેન્સર મટયાના દાવા કર્યા હોવાની વિગતો બહુર્ચિચત બની છે. રૂપાલ છોડયા પુર્વે તે ગાંધીનગર ખાતે રંગમંચમાં દરબાર ભરતો હતો. અહિથી જ તેણે ઢબુડી માતાના નામે ધતિંક શરૂ કર્યા હતા.
ધનજી ચુંદડીથી મોં સંતાડીને કરતો ભક્તોથી વાત
ધનજી ધતિંગ વખતે પોતાનું મોઢુ ચૂંદડીથી ઢાંકેલુ રાખતો હતો. તે ધુણતો હતો. તેના અનુયાયીઓ ગરીબ અને ગ્રામીણ પંથકમાં એવા પ્રકારની આભા ઉભી કરતા હતાકે, થોડાઘણા દુખદર્દ ધરાવતી વ્યક્તિઓને તેનો આસાન શિકાર બનતા હતા. જે જગ્યાએ ઢબુડી માતાનો દરબાર ભરવાનો હોય તે ગામમાં તેના અનુયાયીઓ અગાઉથી જ પડાવ નાખતા હતા અને લોકોને ઢબુડી માતાના પરચાની વાતો કરી ભોળવતા હતા.
વિજ્ઞાનજાથા ઢબુડીનું કરી રહી હતી મોનિંટરીંગ
વિજ્ઞાનજાથાને જ્યારે આ બાબત ધ્યાન પર આવી ત્યારે તેણે પ્રથમ જે સ્થળે ઢબુડી માતાનો દરબાર ભરવાની જાહેરાત થતી હતી તે સ્થળની મુલાકાત લેતા હતા અને એક સર્વે કરવામાં આવ્યો હતો. ઢબુડી માતાના એક દરબારમાં તે લોકો પાસેથી ૮૦ લાખથી એક કરોડ જેટલી રકમ પડાવી લેતો હતો. દરેક વ્યક્તિ પાસેથી 50 રૂપિયાની ફી પણ વસુલ કરવામાં આવતી હતી.
રૂપાલમાંથી ગ્રામજનોએ ધનજીને ભગાડ્યો હતો
રૂપાલમાં બેરોકટોક આ ધતિંગ ચાલ્યા બાદ ગ્રામજનોના જાણમાં આવ્યુ હતુકે, તે રૂપાલના પ્રસિધ્ધ વરદાયીની માતાની વિરૃધ્ધમાં પણ લોકો સમક્ષ ભાષણ કરતો હતો. માતાજી માત્ર ર્મુતિ સ્વરૃપ હોવાથી અહિ દર્શન કરવા ન જવુ તેમ જણાવી તે વરદાયીની માતાના વિરૃધ્ધમાં લોકોને ઉશ્કેરતો હતો. જેની જાણ ગ્રામજનોને થતા તેને ગામમાંથી મારીને ભગાડી મુકવામાં આવ્યો હતો. રૃપાલમાંથી ડેરાતંબુ ઉઠયા બાદ ઢબુડી માતાએ સુરત, પાલનપુર, લુણાવાડા, મહેસાણા પંથકમાં ફરતો હતો અને છુટાછવાયા ગામોમાં દરબાર ભરીને લોકોને લૂંટતો હતો.
ઢબુડી માના નામે સોશિયલ મીડિયામાં હજારો વીડિયો
ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્રો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માતા પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યૂ ટયૂબમાં વીડિયો ચડાવતાં રહે છે. યૂટયૂબમાં લગભગ 2 લાખ જેટલા ફોલોઅર્સ પણ છે. જ્યા પણ ઢબુડી માતા પહોંચે ત્યા તેમની ટોળકી પહોંચી જતી હતી.