અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત નવી SVP એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ આજે નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યારે હોસ્પિટલના લોકાર્પણની પત્રિકામાં ડે.સીએમ અને આરોગ્ય મંત્રી નિતિન પટેલનું નામ ન છપાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આપને જણાવી દઇએ કે SVP હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં વિશેષ ઉપસ્થિત મહેમાનની યાદીમાં ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા પક્ષના પીઢ નેતા આઇ.કે.જાડેજાનું નામ છાપવામાં આવ્યું છે. બીજી તરફ એવી ચર્ચા જાગી છે કે નીતિન પટેલનું નામ ભૂલથી છાપવાનું રહી ગયું છે કે પછી જાણી જોઈને છાપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં મહેમાન બનવાના છે ત્યારે અમદાવાદ ખાતે આકાર પામેલ 1500 બેડ ધરાવતી હાસ્પિટલનું લોકાર્પણ પણ કરવાના છે ત્યારે આ સમારોહની પત્રિકામાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ નહીં છપાતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયાં છે.
શું છે હોસ્પિટલની ખાસિયત
આ હોસ્પિટલમાં કુલ ૧૫૦૦ બેડની કેપેસિટી છે જેમાં ૧૩૦૦ જનરલ બેડની વ્યવસ્થા છે. ૧૩૯ આઈસીયુ બેડ તેમજ ૨૨ વિભાગો માટે ૯૦ ઓપીડી કન્સલ્ટેશન રૂમની વ્યવસ્થા છે. આ હોસ્પિટલની ઊંચાઈ 78 મીટર છે. આપને જણાવી દઇએ કે આ એક એવી સરકારી હોસ્પિટલ છે જે 7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો પણ સામનો કરી શકે છે.