ગાંધીનગરમાં મનપા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. મનપા ચૂંટણીને લઇને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે શહેરમાં ત્રીપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે ભાજપે ગાંધીનગરમાં રોડ શો યોજ્યો હતો.
ગાંધીનગરમાં મનપા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા લગાવી રહ્યા છે એડીચોડીનું જોર
એક હજાર ટકા અમે જ જીતવાના છે : CM પટેલ
ગાંધીનગર મનપા ચૂંટણીના પ્રચાર અંતિમ દિવસે મતદારોને રિઝવવા દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે. ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરાયું છે તો કોંગ્રેસ દ્વારા રોડ શો યોજાયો છે. ગાંધીનગરના પેથાપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે રોડ શો યોજ્યો હતો. ભાજપ દ્વારા સમગ્ર ગાંધીનગર આવરી લે તેવા રોડ શોનું આયોજન કરાયું હતું. સત્તા મેળવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તો ભાજપ ગાંધીનગર મપનામાં 44માંથી 44 બેઠક જીતવાનો દાવો પણ કરી રહ્યું છે.
કેમેરા ફેરવીને જોઈ લૉ કેટલી ભીડ છે, તમને ખબર પડી જશે કોણ જીતવાના છે: CM ભૂપેન્દ્ર પટેલ
ચૂંટણી પ્રચારમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેમેરા ફેરવીને જોઈ લૉ કેટલી ભીડ છે, તમને ખબર પડી જશે કોણ જીતવાના છે. કોણ CM છે તેનાથી કાર્યકર્તાઓને કોઈ ફરક નથી પડતો. એક હજાર ટકા અમે જ જીતવાના છીએ.
ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે બાઇક રેલી યોજી
તો બીજી તરફ ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે બાઇક રેલી યોજી હતી. વોર્ડ નંબર 6 ઉમેદવારોએ વિશાળ બાઇક રેલી યોજી હતી. પ્રચાર-પ્રસારના અંતિમ દિવસે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. જોકે કોંગ્રેસની રેલીમાં સિનિયર નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી. ઉમેદવાર પોતાના દમ પર પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.
3 ઓક્ટોબરે મતદાન અને 5 ઓક્ટબરે પરિણામ
કોરોનાની બીજી લહેરના કારણે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 3 ઓક્ટોબરે યોજાવાની છે. તો 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે.