વડોદરા, રાજકોટ બાદમાં ગાંધીનગર મનપાએ રસ્તાઓ પર ઈંડા-નોનવેજની લારી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિર્ણયને આવકાર્યો
વડોદરા, રાજકોટ બાદમાં ગાંધીનગરમાં કાર્યવાહી
નોનવેજ અને ઇંડાની લારીઓ રસ્તાઓ પરથી દુર થશે
તમામ લારીના દબાણ હટવા જોઇએ: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
નોનવેજ અને ઇંડાની લારીઓને લઇ ગાંધીનગર મનપાએ સર્વે કરાવ્યો છે. વડોદરા અને રાજકોટ બાદ ગાંધીનગરમાં કાર્યવાહી કરાશે. નોનવેજ લારી હટાવવાની અરજીઓના આધારે કાર્યવાહી કરાશે. જાહેર સ્થળો પર રહેલી લારીઓનો સર્વે કરાશે. અને ગાંધીનગર કોર્પોરેશન ને અરજી મળશે તો લારીઓ હટાવાશે.
લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન:રાજેન્દ્ર ત્રિવેદી
કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નોનવેજ અને વેજની લારીઓ મુદ્દે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે નોનવેજ કે વેજ તમામ લારીના દબાણ હટવા જોઇએ. ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. અને રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. તેઓએ કહ્યું કે લારીઓના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે.
વડોદરામાં લારી વાળાઓને 10 દિવસનું અલ્ટિમેટમ
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમનની બુધવારે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ રાખવાના આદેશનું ફરમાન કરવામાં આવ્યું છે.રાજકોટ બાદ વડોદરા મનપાએ પણ આ નિર્ણય કરતાં 10 દિવસમાં નોનવેજ,ઇંડાની ખાણીપીણીની લારીઓ હટાવવી પડશે.આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને આદેશ આપી દીધા છે. ટ્રાફિક અને આસ્થાના વિષયનું કારણ આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં લારીઓ હટાવાઇ
રવિવારના રોજ રાજકોટ તંત્ર દ્વારા જાહેર માર્ગો પર ઉભી રહેતી ઇંડાની લારીઓ તેમજ નોનવેજની લારી પર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં DCP સહિતનો પોલીસ કાફલો લારીઓ હટાવવાના કામે લાગ્યો હતો. ફૂલછાબ ચોક, શાસ્ત્રીનગર સહિતના અનેક વિસ્તારોમાં લારીઓને જપ્ત કરવામાં આવી હતી. પણ ખાવાના રસિકોએ મનપાના નિર્ણયનો વિરોધ કર્યો છે. અને લારી વાળાઓ યોગ્ય વ્યવસ્થા કરી આપવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.
કેમ આ નિર્ણય કરવામાં આવ્યો?
આ નિર્ણય પાર્કિગ વ્યવસ્થાને સુદ્રઢ કરવા લેવામાં આવ્યો હોય તેવી માહિતી મળી રહી છે. આ તરફ મટન કે મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવા આ નિર્ણય કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.આથી અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય માર્ગો ઉપર આમલેટ અને સાઉથી ખાણીપીણીની લારીઓનો મેળાવડો જોવા મળે છે. આથી ટ્રાફિક આસ્થા અને રાહદારીઓને હેરાનગતિને ધ્યાને રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.