રાજ્યમાં છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદને લઈને તો ક્યારેક અનામતના હકને લઈને રસ્તા પર ઉતરી રહ્યા છે. પરંતુ આ બધામાં છેલ્લાં દોઢ માસથી લોકરક્ષક ભરતીમાં મહિલા અનામતનો વિવાદ વધારે ચર્ચામાં રહ્યો છે.
એલઆરડી પરીક્ષાને લઇ વિવાદ યથાવત
પરિપત્રની ભાષા બની વિવાદનું કારણ
વર્ષ 2018માં ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે મહિલા અનામતને લગતુ અર્થઘટન કરીને જે પરિપત્ર કર્યો હતો જેણે હાલ ગૂંચ સર્જી છે. .એક તરફ એલઆરડીની પરીક્ષા આપી ચૂકેલી મહિલાઓ પાટનગરમાં ધરણા આપી રહી છે તો બીજી તરફ સરકારના તજજ્ઞો મહિલા અનામતના પરિપત્રનું અર્થઘટન કરવામાં માથાપચ્ચી કરી રહ્યા છે.
એલઆરડી મહિલા ઉમેદવાર હક માટે ઝઝુમી રહ્યા છે
રાજ્યના પાટનગરમાં જ્યાં એક તરફ એલઆરડી મહિલા ઉમેદવાર પોતાના અનામત હક માટે રાત દિવસ ઝઝુમી રહી છે તો બીજી તરફ અનેક બૌદ્ધિકો અને અનામતના એ પરિપત્રનું અર્થઘટન કરવા મગજ કસી રહ્યા છે. વર્ષ 2018માં રાજ્યસરકારના સામાન્ય વહિવટ વિભાગે સરકારી નોકરીમાં મહિલા અનામતના એવા તો નિયમ બનાવી દીધા કે જેને નતો ખુદ સરકાર સમજી શકી કે નતો દલિતોના કે વંચિતોના નેતાએ સમજી શક્યા..પરિણામ એ આવ્યું કે આજે આટલી આટલી ભરતીઓ બાદ પરિપત્રનુ અર્થઘટન કરવા વંચિતોના કાર્યકરો, વહીવટી શાસ્ત્રના ખેરખાંઓ અને ખુદ સરકાર પરિપત્રનું અર્થઘટન કરવા મજબૂર બન્યા છે.
પરિપત્રની કેટલીક ત્રુટી બની વિવાદનું કારણ
મહિલા અનામતના પરિપત્રએ વિવાદની ગરમી પકડયા બાદ અનેક રાજકીય નેતાઓ, અને સામાજિક કાર્યકરો માત્ર સરકાર પર આક્ષેપોની જડી વરસાવવા સિવાય કંઈ કરી શક્યા નહી. કેમ કે, સરકાર વિરોધી સૂત્રોચ્ચારમાં માહેર આ જમાત ખુદ સરકારને પરિપત્રનુ સાચું અર્થઘટન સમજાવી શકવા સક્ષમ ન હતી. ત્યારે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના અને સામાજિક ન્યાયના હિતમાં વીટીવી સ્પષ્ટ રીતે એ પરિપત્રનું અર્થઘટન કરવા આગળ આવ્યું છે. અમે એ વાતને સ્પષ્ટ પણે માનીએ છીએ કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ-2018માં મહિલા અનામતને લઈને જે પરિપત્ર ઘડાયો છે તેમાં કેટલીક ત્રુટી રહી છે. એ ત્રુટી જ આજે વિવાદનુ કારણ બની છે..
મહિલા અનામતનો વિવાદ હવે જ્યારે માથા પરથી પસાર થઈ રહ્યો છે અને મહિલા ઉમેદવારો અન્યાય સામે રાત દિવસ ઝઝુમી રહી છે. ત્યારે કહેવાતા સામાજિક, રાજકીય અને બૌદ્ધિકોની સમજશક્તિ સામે શંકા ઊભી થઈ રહી છે. સવાલ એ થઈ રહ્યો છે કે,
આ પરિપત્ર જ્યારે થયો ત્યારે વંચિતોના હિતેચ્છુઓ ક્યાં હતા?
દલિતો માટે લડવાનો દાવો કરતા મેવાણી પરિપત્ર થયા પછી ક્યાં હતા?
જ્યારે પરિપત્ર થયો ત્યારે OBCના હામી ગણાતા અલ્પેશ ઠાકોર ક્યાં હતા?
પોતાના પક્ષની સરકારો બને ત્યારે SC/ST આયોગમાં ગોઠવાતા મળતિયાઓ ક્યાં હતા?
અનામત બેઠકોના નામે ચૂંટાતા એ ધારાસભ્યો આ પરિપત્ર વખતે ક્યાં હતા?
અનામત બેઠકના ધોરણે જ લોકસભામાં પ્રવેશ મેળવી લેતા એ સાંસદો ક્યાં હતા?
વંચિતોના હક્કો માટે લડવાનો દાવો કરતા ભાજપ-કોંગ્રેસના પ્રવક્તાઓ ક્યાં હતા?
સવાલ એ છે કે શું વંચિતોના નામે લડતા નેતાઓ પણ આ બધી બાબતોમાં પોતાનો જ સ્વાર્થ જુએ છે? શું જ્યાં સુધી મીડિયા નેતાઓને મુદ્દો ન આપે ત્યાં સુધી જનતા માટે લડવાનું તેમને સૂઝતું નથી?