ગાંધીનગરઃ ભાજપ તરફથી લોકસભાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. પક્ષે મુખ્યમંત્રી કક્ષાએ પણ રાજ્યની તમામ બેઠકોની સમિક્ષા પુર્ણ કરી દીધી છે. ત્યારે રાજ્યની તમામ બેઠકોમાં રાજ્યની તથા કેન્દ્રીય કક્ષાએ પણ સૌ કોઈની નજર જે બેઠક પર છે તે ગાંધીનગર છે. ગાંધીનગર પરથી ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી લડી રહ્યા છે. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃ્ષ્ણ અડવાણી ઉંમરના કારણે 2019માં લોકસભાની ચૂંટણી ન લડે તેવું પણ બની શકે છે. જેના કારણે હવે કોણ ઉમેદવાર તે સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે.
એલ.કે અડવાણી ગાંધીનગર બેઠક પરથી 2014માં છઠ્ઠીવાર ચૂંટાઈ સંસદમાં પહોંચ્યા છે. આ જ બેઠક પરથી અગાઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ પણ ચૂંટણી લડી જીત હાસલ કરી હતી. ત્યારે હવા જો એલ.કે અડવાણી નિવૃત્તિ જાહેર કરે તો ગાંધીનગરથી કોણ ચૂંટણી લડશે તેના પર સૌ કોઈની નજર છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં પાટનગર સિવાય ગ્રામ્ય વિસ્તાર અને ખાસ અમદાવાદ શહેરનો પણ મોટા વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં જોઈએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હાલના આયોજન પક્ષના અધ્યક્ષ નરહરી અમિન ચૂંટણી લડી શકે છે. અગાઉ તેમને રાજ્ય સરકારમાં મંત્રી પદનું પ્રોમિસ કરી ભાજપમાં જોડવામા આવ્યા હતા. પરંતુ પરિસ્થિતી બદલાઈ અને નરહરી અમિન જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમને કોરાણે મુકવામા આવ્યા. 2019 માટે તેમનું નામ નોમીનેટ થાય તો નવાઈ નહીં કારણ કે અગાઉ પણ આ બાબતે પક્ષમાં તેમણે રજૂઆત કરી હતી.
બીજી તરફ નરહરી અમિન સિવાય પક્ષ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણીને પણ ગાંધીનગરથી ચૂંટણી લડાવી શકે છે. પ્રતિભા અડવાણી પણ પક્ષના કાર્યક્રમમા સક્રિય રહ્યા છે. અને 2014ની ચૂંટણી પ્રચારમાં પણ પોતાના પિતા સાથે પડછાયાની જેમ સાથે રહ્યા હતા.
ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપને સક્ષમ ઉમેદવાર માટે ચોક્કસ વિચાર કરવો પડશે કારણ કે અટલ બિહારી વાજપાઈ અને એલ.કે અડવાણીનું નામ સિંધુ આ બેઠક સાથે જોડાયેલું છે. નરહરી અમિન અને પ્રતિભા અડવાણી સિવાય વધુ એક નામ વિષે પક્ષ ચર્ચા કરી રહ્યું છે તે નામ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્ય પ્રદેશ અને છત્તિસગઢના રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ. અનાર પટેલ અગાઉ પણ તેમના માતાના પગલે રાજકારણમાં જોડાય તે બાબતે ચર્ચા ચાલી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી લડવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. ત્યારે લોકસભાની ચૂંટણી માટે તેમને ગાંધીનગર બેઠક પર ટિકીટ મળે તો નવાઈ નહીં. અનાર પટેલ પોતે જાહેર જીવનમાં ઘણા આગળ છે તેઓ સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈ સક્રિય રીતે પાયાના લોકો સાથે કામ કરી રહ્યા છે.
રાજ્ય સભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલા સાથે અનેક લોકો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં તેમના પુત્ર મહેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે. તે સમયે શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ બાબતે ગાંધીનગર લોકસભા બેઠક બાબતે ગણગણાટ શરૂ થયો હતો. પરંતુ હવે ભાજપથી બન્ને પિતા-પુત્ર અલગ થઈ ગયા છે અને આ સમિકરણ પર પૂર્ણવિરામ મુકાઈ ગયુ છે.
સાંસદ તરીકે એલ.કે અડવાણીના કામો પર આમ જનતાની પ્રતિક્રિયા
પૂર્વ નાયબ વડાપ્રધાન સતત ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી મોટા માર્જીન સાથે જીતી રહ્યા છે. પરંતુ સ્થાનિકો તેમની કામગીરીથી નારાજ જણાઈ રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનેક કામો થયા છે. પરંતુ સાંસદ પોતે ચૂંટણી પ્રચાર બાદ દેખા દેતા નથી વળી ચૂંટણી બાદ તેમની મુલાકાત અને સંપર્ક માટે ગાંધીનગર કે તેની આસપાસ તેમનો સંપર્ક કરી શકાતો નથી એટલે તેમનો સંપર્ક કરવો મુશ્કેલ બને છે.
બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉભી કરવામાં નથી આવી જેને લઈ સ્થાનિકો નારાજગી દર્શાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ખાનગી શાળાઓ કર્તા અનુદાનીત શાળાઓમા શિક્ષકોની ઉપલબ્ધતા વધે તેમ પણ ઈચ્છી રહ્યા છે.