ગાંધીનગર: વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તમામ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં હાજર રહેવા આદેશ આપી દેવાયો છે. સીએમ રૂપાણી અને દંડક પંકજ દેસાઈની સહીથી વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા માત્ર ત્રણ જ લીટીમાં વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તમામ સભ્યોને પૂર્ણ સમય ગૃહમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જો આદેશનો અનાદર કરે તો ગેરલાયક ઠેરવવા પણ ચિમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો ગઇ કાલે પ્રારંભ થયો હતો. જેમાં 2 દિવસ ચાલનારા ચોમાસા સત્રમાં ગઇકાલ જ શરૂઆતથી જ વિપક્ષ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેના કારણે વિધાનસભા સત્રની પ્રથમ દિવસની કાર્યવાહી યોગ્ય રીતે થઇ શકી નહોતીં.
ત્યારે આજ રોજ વિધાનસભાના દંડક પંકજ દેસાઇ અને રાજ્યના મુખ્યપ્રધાનની સહીથી વ્હીપ જાહેર કરવામાં આવતા ગૃહના તમામ સભ્યોને આજે વિધાનસભા ગૃહમાં હાજર રહેવા અંગે સુચના આપવામાં આવી છે. આ સાથે જ આદેશનો અનાદર કરનારને ગેરલાયક ઠેરવવા પણ ચિમકી આપવામાં આવી છે ત્યારે હવે જોવું જ રહ્યું આજના સત્રમાં વિપક્ષ દ્વારા કોઇ ધમાલ મચાવવામાં આવે છે કે નહીં.
આપને જણાવી દઇએ કે વિપક્ષ દ્વારા આજે સરકાર વિરૂધ્ધ 29મી વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે ગૃહમાં અપક્ષને ફાયદો થાય છે કે ફરીએકવાર અધ્યક્ષ આ દરખાસ્તને ખારીજ કરવામાં આવે છે એ તો આવનારો સમય જ કહેશે.