કોરોના સંકટ અને લૉકડાઉન જેવી વિકટ સ્થિતિમાં ગાંધીનગરના ઉવારસદમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટીની મનમાની સામે આવી છે. હાલમાં લોકડાઉનના કારણે વ્યાપાર ધંધા બંધ છે. તેવી કપરી સ્થિતિમાં આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. જો કે આ મામલે હોબાળો વધતાં શિક્ષણ વિભાગના અનુસાર યુનિવર્સિટીએ હાલ ફી નહીં ઉઘરાવવાની બાંહેધરી આપી છે પરંતુ બીજી બાજુ આવી કોઈ જાણ વિદ્યાર્થીઓને કરાઈ નથી.
શિક્ષણ વિભાગે કહ્યું હાલ ફી નહીં ઉઘરાવે તેવો પત્ર યુનિવર્સિટીએ મોકલ્યો છે
વિદ્યાર્થીઓ કહે છે હાલ ફી નહીં લે તેવી કોઈ જાણ નથી કરાઈ
કર્ણાવતી યુનિવર્સિટીએ આગામી 23 મે સુધીમાં ફી ભરવા દબાણ કરીને ધમકી ઉચ્ચારી છે કે જો 23 મે સુધીમાં સેમેસ્ટરની 70 હજાર રૂપિયા ફી નહીં ભરવામા આવે તો ફી સાથે પેનલ્ટી પણ વસૂલાશે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આ યુનિવર્સિટીને લૉકડાઉન જેવી સ્થિતિમાં જ્યાં લોકો તકલીફમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યારે પણ કડક ઊઘરાણી કરતા શરમ નહીં આવતી હોય?
NSUIએ યુનિવર્સિટીના સંચાલકોની મનમાનીને વખોડી
નોંધનીય છે કે, આ મામલે NSUI દ્વારા સેમેસ્ટર ફીમાં ઘટાડો કરવા અને ફી ભરવાના સમયગાળામાં રાહત આપવા માટે રજૂઆત કરી હતી. NSUIના જિલ્લા પ્રમુખે આ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેરને પગલે રાજ્યની યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન કોલેજો આગામી 20 જૂન સુધી સજ્જડ બંધ રાખવા માટે આદેશ આપ્યા છે. ત્યારે આ રીતે ફીની ઉઘરાણી કરીને યુનિવર્સિટીઓ પોતાની મનમાની કરી રહી છે. આ સાથે જ સરકારના આદેશને ઘોળીને પી જઇ સત્તાધીશો 70 હજારથી 2 લાખસુધીની ફી ભરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને તાત્કાલિક અસરથી ફી ભરવા માટે મેઇલ કરીને દબાણ કરી રહી છે. આ ઘટના નિંદાને પાત્ર છે.
વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં મુંઝવણ
એક તરફ કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં ભરડો લીધો છે અને વેપાર-ધંધા બંધ પડ્યા છે ત્યારે આગામી 23મે સુધીમાં ફી ભરવાના અને નહીં ભરનાર વ્યક્તિ પાસેથી પેનલ્ટી સાથે ફી વસૂલવાના સંદેશથી વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ચિંતાના વાદળ છવાયા છે.
મેસેજમાં પેનલ્ટીની ચીમકી
લૉકડાઉન કે કોરોના સંકટની જાણે ગંભીરતા સમજતા જ ન હોય તેમ યુનિવર્સિટીના સત્તાધીશોએ ફીની ઉઘરાણી તો કરી પરંતુ તે પણ પઠાણી સ્ટાઈલથી. મેસેજમાં વિદ્યાર્થીઓેને કહેવામાં આવ્યું છે કે જો 23 મે સુધીમાં ફી નહીં ભરાય તો જેટલા દિવસ મોડું થશે તેના પર પ્રતિદિન 100 રૂપિયા પેનલ્ટી લગાડવામાં આવશે.
થોડો સમય આપવો જોઈએ : વિદ્યાર્થી
આ જ મુદ્દે જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી જાણવાની કોશિશ કરવામાં આવી તો એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે હાલ લૉકડાઉનની સ્થિતિમાં ફી ભરી શકાય તેવી હાલતમાં નથી. અમુક લોકો ભરી શકે છે પરંતુ તમામ લોકો ફી ભરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. આમ તો હંમેશા ફી ભરી દેતા હોઈએ છીએ પરંતુ હાલ પરિસ્થિતિ થોડી અલગ છે જેથી આ માટે થોડો સમય આપવો જોઈએ.
યુનિવર્સિટીમાંથી મળ્યો આવો જવાબ
જ્યારે VTVએ કર્ણાવતી યુનિવર્સિટીના ડિઝાઈન વિભાગના હેડ વિવેક કારમોકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ફી મુદ્દે તમામ માહિતી ઉપરના સત્તાધીશો પાસે છે ને હું આ અંગે કંઈ જાણતો નથી. આ ઉપરાંત તેઓ આગળ વાત કરવાના બદલે કહ્યું, તમે બીજે ક્યાંયથી સતાધીશોનો ફોન નંબર શોધી ફોન કરી લો અને જાણી લો તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો.
શિક્ષણ વિભાગ શું કહે છે?
જ્યારે આ જ મામલે અમે કોશિશ કરી કે તંત્રએ આ મામલે કોઈ એક્શન લીધા છે કે નહીં તે જાણવા શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્મા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વાત અમારા ધ્યાનમાં આવી છે અને હવે યુનિવર્સિટિીએ હાલ આ ફી નહીં ઉઘરાવે તેવો પત્ર અમને મોકલી આપ્યો છે. જો કે આ પત્રની કોપી માંગવામાં આવી તો સ્ટાફ રજા પર છે એટલે પત્ર હાલ ઉપલબ્ધ થયો નથી તેવું જણાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ કહે છે હાલ ફી નહીં લેવાની કોઈ જાણ નથી કરાઈ
શિક્ષણ સચિવે કહ્યું કે યુનિવર્સિટી દ્વારા હાલ કોઈ ફી નહીં ઉઘરાવે તેવો પત્ર મોકલ્યો છે. જો કે બીજી બાજુ વિદ્યાર્થીઓ કે વાલીઓને આ બાબતની હજુ સુધી કોઈ જાણ નથી કરાઈ. VTV દ્વારા કર્ણાવતી યુનિ.ના એક વિદ્યાર્થી સાથે વાત કરાઈ હતી જેમાં તેણે કહ્યું, અમને અત્યાર સુધીમાં સંસ્થાએ કોઈ ઈ-મેઈલ કર્યો નથી કે હાલ ફી નહીં ઉઘરાવાય. છેલ્લો અમને એ જ ઈ-મેઈલ મળ્યો છે જેમાં અમારે 23 મે સુધીમાં ફી ભરવાની જાણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કર્ણાવતી યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓને 23મે પહેલા ફી ભરી દેવાનો ઈ-મેઈલ કરેલ છે.
ઊભા થઈ રહ્યાં છે સવાલો?
જો હાલ ફી નહીં ઉઘરાવવાનો કોઈ પત્ર કે બાંહેધરી સરકારને આપી હોય તો પછી યુનિવર્સિટીએ કેમ જાહેર ન કર્યો પત્ર?
આટલો હોબાળા થયા બાદ જો પત્ર મોકલાયો હોય તો શું યુનિવર્સિટીના સ્ટાફને આવા પત્રની કોઈ જાણ નહીં હોય?
જો હાલ ફી નહીં લેવાનું નક્કી થયું હોય તો પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને જેમ ફી લેવા માટેની જાણ કરાઈ તેમ ન લેવાની પણ જાણ કેમ ન કરાઈ?
ભાજપના યુવા નેતાની ફેવરિટ છે આ યુનિવર્સિટી
મહત્વનું છે કે અગાઉ ઘણી વખત આ યુનિવર્સિટી પોતાના એજ્યુકેશન સિવાય પણ સમાચારોમાં આવી ચૂકી છે. જેનું મુખ્ય કારણ છે કે ભાજપના યુવા નેતાની આ ફેવરિટ યુનિવર્સિટી છે. જેથી જ અહીં ગુજરાતના અને દિલ્હીના નેતાઓ સહિતના રાજ્યને લગતા ઘણાં કાર્યક્રમો કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાતા હોય છે. ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીનું એવું કૃત્ય સામે આવ્યું છે જે ભાજપ સરકારના આદેશના વિરુદ્ધનું છે. તેમ છતાં કર્ણાવતી યુનિવર્સિટી બિન્દાસ રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓને આડકતરી રીતે ધમકાવીને ફીના ઉઘરાણા કરી રહી છે તો ત્યારે આ બાબતે હજુ સુધી કોઈ નક્કર પગલાં કેમ નથી લેવાયાં તે એક સવાલ છે.