એક તરફ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ CR પાટીલ રાજ્યમાં રેલીઓ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના વડામથક કમલમ પર થોડા દિવસ અગાઉ ભાજપના નેતાઓનું ટોળું ઉમટ્યું હતું. ત્યારે હવે આજે કમલમના સેક્રેટરી અને મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. કમલમમાં કોવિડ-19ની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થયો હતો.
ભાજપના કાર્યાલય કમલમના મંત્રી અને સેક્રેટરીને કોરોના
સોમ-મંગળવારે કમલમ પહોંચ્યા હતા કાર્યકર્તાઓ
કમલમ ખાતે કોવિડના નિયમોનો ભંગ થયો હતો
રેલી બાદ ભાજપના 20થી વધુ નેતાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે ત્યારે વધુ કેટલાક નેતાઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થોડા દિવસ અગાઉ મોટી સંખ્યામાં ભાજપના દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ અને કાર્યકરો ઉમટ્યા હતા. ત્યારે હવે કમલમના સેક્રેટરીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ કમલમના મંત્રી પરેશ પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરેશ પટેલની સાથે તેમના ઘરના તમામ સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમલમમાં સોમવાર અને મંગળવારે મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકરોએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન કોવિડના નિયમોનો ભંગ થયો હતો. જાણે કોરોના હોય જ નહીં તેવી રીતે નેતાઓ અહીં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભાજપના મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ સી.આર.પાટીલની રેલી ફરી બની વિવાદનું કેન્દ્ર બની રહી ગઇ છે. કોવિડની ગાઇડ લાઇન મુજબ જાહેર રાજકિય મેળાવડા પર પણ પ્રતિબંધ છે પરંતુ આ કદાવર નેતા કોરોનાના સંક્રમણથી અજાણ હોય અને ગાઇડ લાઇને નિયમો જાણે તેમને લાગૂ ન પડતાં હોય તેમ એક પછી એક આવા જાહેર કાર્યક્રમો યોજી રહ્યાં છે. કોરોનાના સંકટમાં સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં રેલી યોજી રહ્યા છે. આ દરમિયાન કોવિડ-19ના નિયમોનો સરેઆમ ભંગ થયો જોવા મળ્યો છે.