ગુજરાતમાં હેડક્લાર્ક પેપર લીક મામલે સૌથી મોટી અપડેટ્સ આવી રહી છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને ગાંધીનગર મુખ્યમંત્રીની ઓફિસથી તેડું આવ્યું છે.
GSSSBના ચેરમેન અસિત વોરા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા
અસિત વોરાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે બેઠક
ફરી પરીક્ષા લેવા મુદ્દે બેઠકમાં થઈ શકે છે ચર્ચા
હેડક્લાર્ક પેપર લીકનો મામલો આખા ગુજરાતમાં એટલો ગાજ્યો છે કે આમાં ગૃહરાજ્યમંત્રી બાદ હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે. ગઈ કાલે હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત બાદ હવે મુખ્યમંત્રીએ GSSSBના ચેરમેન અસિત વોરાને મળવા બોલાવ્યા છે. આવામાં આજે બપોરે અસિત વોરા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા.
શા માટે બોલાવ્યા હોઈ શકે?
- ગઈ કાલે પરીક્ષા રદ્દ કર્યા બાદ હવે માર્ચ મહિનામાં પરીક્ષા લેવાની છે ત્યારે આ મામલે રણનીતિ મુદ્દો હોઈ શકે
- કેવી રીતે આગામી પરીક્ષા ફૂલપ્રૂફ બની શકે તેની ચર્ચા પણ થઈ શકે
- અસિત વોરાને સમગ્ર પેપરલીક મામલે ઠપકો તેમ જ ભવિષ્યમાં આવું ન બને તે મામલે પણ થઈ શકે વાત
- પેપર લીકમાં પ્રિન્ટિંગ પ્રેસની ભૂમિકા શું રહી છે તેની પણ વિગતવાર માહિતી માંગવા બોલાવ્યા હોઈ શકે
- સમગ્ર પેપર લીકની પર્સનલી જાણકારી મેળવવા
ગઈ કાલે પરીક્ષા રદ્દ કરાઈ
ગઈ કાલે આ મામલે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પેપરલીક થયાં બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગણતરીના દિવસોમાં જ પેપરલીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધકપકડ કરવામાં આવી છે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મી અને માલિક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હાલ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને 88 હજાર પરિવાર લોકોને ન્યાય મળી રહે તે માટેના સરકાર દ્વારા પગલા લેવામાં આવશે.
માર્ચ મહિનામાં યોજાશે પરીક્ષા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ પરીક્ષા તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના 88 હજાર પરિવારોને ન્યાય મળે અને ખરેખર તનતોડ મહેનત કરનાર ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં લેતા હવે આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં યોજાશે.
વિપક્ષ અસિત વોરાના રાજીનામાની કરી રહ્યું છે માંગ
મહત્વનું છે કે હેડક્લાર્ક પેપર લીક થયા બાદ વિપક્ષ સતત માંગ કરી રહ્યું છે કે આ ઘટના માટે અસિત વોરા જવાબદાર છે અને તેમને પદેથી હટાવવામાં આવે. ખાસ કરીને AAPના અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આ પેપર લીક મામલે પુરાવા રજૂ કર્યા બાદ તેમને આ GSSSBના ચેરમેન પદેથી હટાવવા માટે ભારે માંગ કરી રહ્યાં છે. ત્યાર બાદ AAP એ પણ ગાંધીનગર ખાતે ભારે ઘર્ષણની વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસ પણ રટણ કરી રહ્યું છે કે ભાજપના રાજમાં ફટાકડાની જગ્યાએ પેપર વધારે ફૂટે છે.
સાબરકાંઠા પેપર લીક મામલે 3 વિદ્યાર્થીની અટકાયત
સાબરકાંઠા પેપર લીક મામલે પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે, પોલીસે આ મામલે બેથી ત્રણ વિદ્યાર્થીની કરી અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, પેપરલીક થયાં બાદ આ વિદ્યાર્થીઓએ પેપર ખરીદ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. નોંધનીય છે કે, 14 આરોપીની ધરપકડ બાદ પોલીસે 3 વિદ્યાર્થીની અટકાયત કરી છે, આગામી સમયમાં પોલીસ વધુ સફળતા મળી શકે છે.
સી.આર.પાટીલે અસિત વોરાને આપી હતી ક્લીન ચિટ?
આજે જ ગુજરાત સરકાર તરફથી હેડક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે તે બાબતે નિવેદન આપતા પાટીલે કહ્યું છે કે ભરતી પ્રક્રિયામાં અધીકારીઓને જ સત્તા હોય છે. તપાસમાં કોઈપણ વ્યક્તિ હશે તેના પર કાર્યવાહી થશે અને થઈ રહી છે જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહી આવે, પણ ગૌણસેવાના ચેરમેન પ્રતિષ્ઠીત વ્યક્તિ છે એક વાત સમજવી જરૂરી છે કે બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ બંને અલગ બાબત છે. યુવાનોના વિશ્વાસ ન તુટે એ માટે સરકાર પગલા લઈ રહી છે. ગૌણસેવાના ચેરમેન પર માત્ર આક્ષેપો થઈ રહ્યા છે તેના પુરાવા નથી. કોઈપણ ચમરબંધી હશે તેને નહી છોડવામાં આવે કારણ કે અમે કોઈને પણ બચાવવા માંગતા નથી.હું ચોક્કસ પણે માનુ છુ કે પેપર લીક થયું છે. આગામી સમયમાં પરીક્ષા કેવી રીતે લેવી તેની ચર્ચા ચાલુ છે. આવનાર ભરતીમાં પેપર લીક ન થાય તે માટે તમામ પગલા લેવશે તેવી વાત પણ સી આર પાટીલે કરી હતી.