ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે બાઈબ્રન્ટ સમિટમાં આવનાર VIP મહેમાનોની સુરક્ષાને લઈને તંત્ર અલર્ટ થઈ ગયું છે. મહાનુભાવોની સુરક્ષા માટે ચૂસ્ત બોંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
એટલું જ નહીં પરંતુ તમામ VIP મહેમાનોની મુવમેન્ટ પર ખાસ CCTVથી નજર રાખવામાં આવશે. તો અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી ટ્રેક કરવામાં આવશે. મહાત્મા મંદિર અને તેની આસપાસ પણ ડ્રોન દ્વારા ટ્રેકિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સમિટમાં VIPની સુરક્ષાનું 1-DIG 4-એડિશનલ ડીજી દ્વારા સંચાલન કરવામાં આવશે. આ સિવાય પણ 21-SP અને 4 હજાર પોલીસ જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે સહેશે. વાઈબ્રન્ટ સમિટને લઈને મહાત્મા મંદિરને પણ અભેદ કિલ્લામાં ફેરવવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં પણ થઇ ચર્ચા
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આગામી વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ મહાનુભાવો પણ ખાસ હાજર રહેવાના હોવાથી તેમની આગતા-સ્વાગતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીને પણ અપાયું છે આમંત્રણ
ગુજરાતને આંગણે આગામી સમયમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં પધારવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તાજેતરમાં જ્યારે દિલ્હીની મુલાકાતે ગયા ત્યારે તેમણે વડાપ્રધાન મોદીને વાઇબ્રન્ટ સમિટમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું અને વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી હતી.