ઘઉંના બિયારણનું ઉત્પાદન કરતા ખેડૂતો પહોંચ્યા બીજ નિગમ પહોંચ્યા હતા અને 650 રૂપિયા ભાવ આપવાની ખેડૂતોએ કરી માંગ જેની સામે સરકારે 535 રૂપિયા ભાવ નક્કી કર્યો
ખેતર છોડી નગરમાં ધામા
ક્યાંક જમીન બચાવવા ધરણા
ક્યાંક `ભાવ' માટે બેસણાં
હવે વાત કરીએ જગતના તાતની વેદનાના સૂરની. જગતનો તાત પોતાના ખેતર છોડીને ગાંધીનગરની વાટ પકડવા મજબૂર બન્યો છે. જ્યાં એક તરફ ખેડૂતોએ પોતાની જમીન બચાવવા ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરની સડકો ખૂંદી રહ્યા છે તો બીજી તરફ હવે બીજ ઉત્પાદન કરતા ખેડૂતો પોષણક્ષણ ભાવને લઈને તંત્રની નીતિઓનું બેસણુ યોજી રહ્યા છે. આ બન્ને ઘટનામાં સામ્યતા એ છે કે, બન્નેમાં મુખ્ય પાત્ર જગતનો તાત છે અને ધરતી અને બીજ બન્ને મુદ્દે તેની નારાજગી આજે તેને ગાંધીનગરની સડકો સુધી દોરી લાવી છે.
અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વે ગામોની જમીનો કપાત મામલે વિરોધ
ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં હજુ પણ ખેડૂતોના ધરણા યથાવત છે. આજે ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરના ચિલોડા ખાતે નેશનલ હાઇવે પર ધરણા કર્યા હતા. ખેડૂતોએ પુલ નીચે બેસી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વે ગામોની જમીનો કપાતમાં જાય છે. પરંતુ તેની સામે પર્યાપ્ત વળતર મળતું નથી.આથી ખેડૂતો પોતાનીઆજીવિકા સમાન જમીન ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં આપવા તૈયાર નથી.
ઘઉના પોષણક્ષમ ભાવ આપવા રજૂઆત
આમ, ધરતી બચાવવા માટે ઝઝૂમી રહેલો ખેડૂત હજુ ઘરે જવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં હવે બીજના વધતા ભાવે અન્ય ખેડૂતોને ગાંધીનગરની વાટ પકડવા મજબૂર કર્યા છે. આજે રાજ્યમાં ઘઉંનું બીજ ઉત્પાદન કરતાં ખેડૂતો બીજનિગમની કચેરીએ પહોંચ્યા હતા. કેમ કે એક તરફ ખેડૂતોને ઉત્પાદિત કરેલા બીજના પોષણક્ષમ ભાવ મળતાં નથી તો બીજી તરફ બીજ કંપનીએ ખેડૂતોને આપવાના બીજના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કરી દીધો છે.
બીજ નિગમની ઓફિસે પહોંચીને બેસણા
જેના વિરોધમાં ખેડૂતોએ બીજ નિગમની ઓફિસે પહોંચીને બેસણાનો કાર્યક્રમ કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, અગાઉ કૃષિમંત્રીએ ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના બીજનો ભાવ 535 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ખેડૂતોને 650 રૂપિયા ભાવ મળે તો જ પોસાય તેમ છે...આથી ખેડૂતોએ આજે બીજનિગમ પહોંચીને ધરણા આપવા પડ્યા હતા. આમ, જગતનો તાત પોતાના ખેતર છોડીને ગાંધીનગરની વાટ પકડવા મજબૂર બન્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માગણીને કેટલો ન્યાય આપે છે.