સોલાર ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સાથે જ માગણી નહીં સંતોષાય તો વાયબ્રન્ટ સમિટમાં વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
સોલાર ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોની રજૂઆત
સબસિડી બાબતે નિર્ણય લેવા માટે રજૂઆત
વાયબ્રન્ટમાં વિરોધ પ્રદર્શનની ચીમકી
MSME હેઠળ સોલાર પાવર પ્રોજેક્ટની સબસિડી શરૂ કરવા માટે આજે ઉદ્યોગપતિ મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યું હતું. જેમાં સબસિડી બાબતે નિર્ણય લેવા માટે તેમણે સરકારને રજૂઆત કરી છે.
અમને ગોળ-ગોળ ફેરવવામાં આવી રહ્યા છે : ઉદ્યોગપતિ
ઉદ્યોગપતિઓ VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, નાણામંત્રી વગેરેને રજૂઆત કરી છતાં કોઈ મગનું નામ મરી નથી પાડી રહ્યું. અમને ગોળગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. તો એમપણ કહ્યું કે, માગણી માન્ય કરવામાં આવે તેમાં ગુજરાતનો તથા ગુજરાતની જનતાનો ફાયદો છે. આશરે 5 લાખથી વધુ લોકોને રોજગારી મળવાની પણ વાત ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી હતી.
વાયબ્રન્ટમાં વિરોધ પ્રદર્શનની ઉચ્ચારી ચીમકી
જો સરકાર માંગ નહીં સ્વીકારે તો વાયબ્રન્ટમાં વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે. 4 હજાર રોકાણકારોએ 10 હજાર કરોડનું રોકાણ કર્યું છે. 10 હજાર એકર જમીન રોકાણકારોએ બિનખેતી કરાવી છે.
સોલાર પાવરના રોકાણકારો કેમ પરેશાન છે?
રાજ્યમાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યુટેડ સોલાર પાવર પ્રોજેક્ટ ના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેકટ પોલિસીમાં સરકારે અચાનક ફેરફાર કરતા રોકાણકોરોમાં નારાજગી જોવા મળી રહી છે. MSME અંતર્ગત સરકારે સબસીડી અને વ્યાજની છૂટછાટ સાથે પોલિસીની જાહેરાત કરી હતી.
પરંતુ એક મહિનામાં જ સરકારે નવી પોલિસી પ્રમાણે સબસીડી અને વ્યાજમાં મળતી છૂટછાટ બંધ કરતાં રોકાણકારો નારાજ થયા છે. સરકારે પોલિસી ફેરવી રોકાણકારોનો વિશ્વાસ તોડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ પોલિસીમાં 4 હજાર લોકોએ કરોડોનું રોકાણ કર્યું છે.જો સબસીડી મળે તો એક વ્યક્તિને અંદાજે 35 લાખ જેટલો લાભ મળે તેમજ લોનમાં 7 ટકા છૂટછાટ મળે. પરંતુ સરકારે પ્રોજેકટની શરતોમાં ફેરફાર કરતા રોકાણકારો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
નવી પોલિસીથી થઈ રહ્યું છે આર્થિક નુકસાન
રોકાણકારોએ નવી પોલિસીમાં આર્થિક નુકશાન થવાની ભીતિ સાથે યોગ્ય નિકાલ લાવવાની માંગ કરી છે. જો કે આ સમગ્ર મામલે રોકાણકારોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરી છે. સરકારે તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવીને હાઈકોર્ટમાં અરજી કરી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ડિપ્લોમેટ્સ મીટ થઇ છે. જેમાં 80થી વધુ દેશોના રાજદ્વારીઓને મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. આ સમયે રાજદ્વારીઓને વાઈબ્રન્ટ સમિટનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. તારીખ 10, 11, 12 જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરે પ્રધાનમંત્રી મોદીના હસ્તે સમિટનો પ્રારંભ થશે. આ સમયે દિલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન કરતા જણાવ્યુ હતું કે દેશમાં મૂડીરોકાણ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું થયું છે. નાણાંકીય વર્ષ 2021માં ગુજરાતે 21.9 બિલિયન ડોલરનું FDI મેળવ્યુ છે. તેમજ દેશના કુલ FDIમાં ગુજરાતનો ફાળો 37% જેટલો છે.