ગાંધીનગર: વિદ્યાર્થીઓને કોલેજમાંથી નોકરી મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં જોબફેરનું આયોજન કરવામાં આવે છે. હાલમાં રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા મેગા જોબ ફેરનુ આયોજન કરવામાં આવ્યું છે. આ જોબફેરમાં રાજ્યની અનેક કોલેજોએ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવ્યા નથી.
જે કોલેજોએ મેગા જોબફેરમાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યા તે કોલેજ સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ન કરનારી 48 કોલેજોની શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ કાપવાની નોટિસ આપવામાં આવી છે. મહત્વનુ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોને રજીસ્ટ્રેશન માટે સુચના આપવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે શિક્ષણ વિભાગની સુચના બાદ પણ કોલેજો દ્વારા અવગણના કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ન કરનારી કોલેજોની ગ્રાન્ટ કાપવામાં આવશે.
મળતી માહિતી મુજબ અમદાવાદની આર.જે ટિબ્રેવાલ અને એચ.કે કોમર્સ કોલેજ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. કોલેજો દ્વારા રજીસ્ટ્રેશન ન કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.