ગાંધીનગર બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સાંસદ અને ધારાસભ્ય એક જ દિવસે કોરોનાગ્રસ્ત બન્યા છે.
ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં
કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાને કોરોના
અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગાંધીનગરની વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરની લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધારાસભ્ય સી.જે. ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે આ અગાઉ તેમના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
યોગાનું યોગ બન્ને નેતાઓ એક જ દિવસે કોરોના પોઝિટિવ થયા છે. તેના સ્વાસ્થ્યને લઇને લોકો ઘણા ચિંતિત છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.
અમિત શાહનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. ડૉક્ટરોની સલાહ મુજબ હાલ તેઓ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ટ્વીટ કરીને અમિત શાહે આ મામલે માહિતી આપી હતી. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા.
આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને સતત કોવિડ-19ની પરિસ્થિતિ વિશે અપડેટ લેતા હતા. લૉકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં એમની સાથે મંચ પર અનેક લોકો હાજર હતા.
રાજ્યમાં કોરોનાના વધુ 1101 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે રવિવારે વધુ 1,101 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 805 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલ રાજ્યમાં 81 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કોરોનાના કારણે રાજ્યમાં વધુ 22 લોકોના નિધન થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 63 હજાર 675 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 14,601 એક્ટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાથી કુલ 2,487 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાના કેસ રવિવારે સુરતમાં 237, અમદાવાદમાં 155 કેસ, વડોદરામાં 96, રાજકોટમાં 94, મહેસાણા 43 કેસ, જામનગરમાં 52, ગીર સોમનાથમાં 14 કેસ, જૂનાગઢમાં 40, દાહોદમાં 17, સુરેન્દ્રનગરમાં 10 કેસ, ભાવનગરમાં 72, ગાંધીનગરમાં 29 કેસ, ખેડામાં 17, કચ્છમાં 16, નર્મદામાં 10 કેસ, બનાસકાંઠામાં 3, વલસાડમાં 20 કેસ, ભરૂચમાં 16, મોરબીમાં 8, પાટણમાં 9 કેસ, બોટાદમાં 15, આણંદમાં 16, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા છે.