ગાંધીનગર: 18મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલી અને સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસની આક્રોશ રેલીમાં પોલીસ જવાનને પથ્થર વાગવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર ખાતે ખેડૂત આક્રોશ રેલી દરમિયાન પોલીસ જવાનને પથ્થર વાગ્યો હતો. જે મામલે કોંગ્રેસના કાર્યકરો સહિત 1 હજાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મંજૂરી વિના ગેરકાયદે રેલી યોજવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
રેલી દરમિયાન અનેક જગ્યાએ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન એક પોલીસકર્મીનું માથું ફૂટી ગયું હતું. બીજી તરફ પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. રેલીમાં ભાગ લઈ રહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સહિત હજાર જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.