નવા મુખ્યમંત્રી આવતા જ CMOમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી છે. મુખ્યમંત્રી કાર્યાલયના 4 અધિકારીઓની બદલી કરાઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.
નવા મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફેરફાર
CMOના સચિવ બન્યા અવંતિકા સિંઘ
CMOના અધિક મુખ્ય સચિવ બન્યા પંકજ જોશી
મળતી વિગચો પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી બનતા જ મુખ્યમંત્રી કાર્યાલના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોષીની તથા અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની નિમણૂક કરવામાં આવેલી છે.
CMOમાં OSD પણ બદલાયા
આ ઉપરાંત ભરૂચ જિલ્લાના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આ સાથે જ અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.એન દવેની પણ તાત્કાલિક અસરથી CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવા મંત્રી મંડળની આજે થશે જાહેરાત
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતમાં આજે નવા મંત્રી મંડળની જાહેરાત થવાની છે અને જેમાં જૂના મંત્રીઓને પાણીચુ પકડાવીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના 4 દિગ્ગજ મંત્રીઓની ઓફિસ ખાલી કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના 4 મંત્રીઓની ઓફિસ કરાવાઈ ખાલી
ઉલ્લેખીય છે કે, રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બહેન દવે, વાસણ આહીર તથા કુમાર કાનાણીની સ્વર્ણિમ સંકુલમાં રહેલી ઓફિસ ખાલી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ શિક્ષણ મંત્રી અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પરીક્ષા મામલે ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની ઓફિસ પણ ખાલી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તો મંત્રી ઈશ્વર પરમારની પણ ઓફિસ ખાલી કરાઈ છે.