વાયુ વાવાઝોડું ગુજરાતને આંગણે આવીને ઉભું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પણ વાવાઝોડાથી ચિંતિત થઇને સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે, તેમણે રાજ્યના કંટ્રોલરૂમની મુલાકાત લીધા બાદ રાત્રે 12 કલાકે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
ગુજરાતમાં ગુરુવારે બપોરે ત્રાટકશે વાવાઝોડું
મુખ્યમંત્રી રૂપાણીએ વાયુ વાવઝોડા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સંભવિત વાવાઝોડાની તીવ્રતા જરાય ઘટી નથી. વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે સમગ્ર તંત્ર સજ્જ છે. આ વાવાઝોડું ગુરૂવારે બપોર 2 થી 3 વાગ્યાની આસપાસ ગુજરાત આવી પહોંચશે. આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરને પગલે રાજ્યના 57 સ્થળે વરસાદ થયો છે. આ સાથે મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે અને જરૂર લાગશે તો વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર તથા ગૃહમંત્રાલય દ્વારા વિવિધ આદેશ આપવામાં આવ્યા છે. તથા NDRF તથા સેનાની ટૂકડી ઉતારવામાં આવી છે.
CM રૂપાણીની મહત્વની વાતો
1. પોણા ત્રણ લાખથી વધુ લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું છે. 10થી15 હજાર લોકોનું સ્થળાંતર બાકી છે. જરૂર પડશે તો હજુ પણ કાલે સ્થળાંતર કરાશે
2. સવારે 8 વાગ્યા સુધીમાં વાયુ વાવાઝોડાંની અસર શરૂ થઈ જશે. બપોરે 2થી 3ની વચ્ચે ટકરાય તેવી શક્યતા.
3. વેરાવળ-દ્વારકાની વચ્ચે વાવાઝોડું આવશે.
4. 57 તાલુકાઓમાં ઓછો-વધતો વરસાદ પડ્યો છે.
5. પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલય સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.
6. NDRFની તમામ ટીમો ગુજરાતમાં પહોંચી ચૂકી છે અને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. પોલીસકર્મીઓ રાત્રે પણ પેટ્રોલિંગ કરતા રહેશે
7. ફાયરબ્રિગેડ, આર્મી, PGVCL, પાણી પુરવઠા વિભાગની ટીમોને તૈયાર રખાઈ છે.
8. વાવાઝોડાંની તીવ્રતા જરા પણ ઓછી થઈ નથી.
રાત્રે 11 વાગ્યે કંટ્રોલ રૂમની મુલાકાતે રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ તેઓ કન્ટ્રોલરૂમની મુલાકાતે આવ્યા હતા. કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સાથે રૂપાણીએ સમીક્ષા બેઠક કરી છે, જેમાં દરિયાકાંઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરી રહ્યાં છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2019
પંકજ કુમાર મુજબ, ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં 14 જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે.
અગ્ર સચિવ જે.પી ગુપ્તાનું નિવેદન
ગુપ્તાએ જણાવ્યું કે, કુદરતી આફતોમાં વાવાઝોડું દરિયાકાંઠામાં ત્રાટકતું હોય છે. વાવાઝોડું હવાના ઓછા દબાણથી ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં બે સીઝનમાં વાવાઝોડું આવે છે. વાવાઝોડું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે. કાંઠા વિસ્તારમાં આવતા વાવાઝોડાની ગતિ ઓછી થશે. વાવાઝોડાના કારણે 6થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાઇ વિસ્તારમાં દરિયાનું પાણી રહેણાંક વિસ્તારમાં આવી શકે છે.