3 ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પર મંજૂરીની મહોર
CM વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી આપી છે.
આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચર માટે નોટિફીકેશન કર્યું મંજૂર
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.
મુખ્યમંત્રીએ આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી છે.
5 મહાનગરોમાં બનશે ગગનચુંબી ઈમારતો
આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે. ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે.
એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનીક સ્ટ્રકચર બાંધી શકશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોના મહામારીના સંક્રમણની વિકટ સ્થિતી તથા તાઉતે જેવા વિનાશકારી વાવાઝોડાની પરિસ્થિતીના સફળતાપૂર્વક મુકાબલા માટે સમગ્ર તંત્રનું માર્ગદર્શન કરતા રહ્યાં છે. તેમણે આ આપદાઓ વચ્ચે પણ રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતા સાકાર કરતા સતત નિર્ણાયક અભિગમથી નગર સુખાકારીના નવા સિમાચિન્હો પ્રસ્થાપિત કર્યા છે.
3 ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પર મંજૂરીની મહોર
મુખ્યમંત્રીએ ટોલ-હાઇરાઇઝડ ઇમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની શૃંખલામાં એક નવી સિદ્ધિ ઉમેરી છે. એટલું જ નહિ, વિજયભાઇ રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ ત્રણ ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી.સ્કીમ નં ૩૦(ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી.પી.સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં ૫૧ (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-૧ (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી.પી.સ્કીમ નં. ૯/બી (વાસણા-હડમતીયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.