ગાંધીનગર: આજે CM રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળનારી છે. ગાંધીનગર ખાતે મળનારી આ બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાતની આખરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તો ડુંગળી અને લસણના ભાવનો મુદ્દો પણ કેબિનેટમાં ઉછળશે.
આ સાથે જ મગ અડદ અને મગફળી ખરીદી પ્રક્રિયા પર પણ ચર્ચા હાથ ધરવામાં આવશે. તો રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરીઓની પણ ચર્ચા આ બેઠકમાં થશે. આગામી સમય માટે કરવામાં આવેલ આયોજનો અને યોજનાઓના અમલીકરણ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
દર બુધવારે યોજાય છે બેઠક
ઉલ્લેખનીય છે કે દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે રાજ્યમાં ગતવર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડવાને કારણે ઘણાં બધા પ્રદેશોમાં પાણીની અછત સાથે તંગી જોવા મળી છે તો આ સાથે જ ભાવાંતર યોજનાને કારણે કેટલાક ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો છે.
ત્યારે આજની કેબિનેટ બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ સાથે જ આગામી સમયમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગેની તૈયારીઓ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે.