મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
નગરપાલિકાઓમાં વેરાને લઇ રાજ્ય સરકારની જાહેરાત
બાકી વેરા ભરનારને સંપૂર્ણ વ્યાજ માફી મળશે
31 માર્ચ સુધી બાકી વેરા ભરનારને મળશે લાભ
31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 10 ટકા વળતર અપાશે
રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.
ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર
ઉલ્લેખનીય છે કે,ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા.૩૧-મે-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૧૦ ટકા વળતર આપવામાં આવશે.એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.૩૧-મે-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧પ ટકા વળતરનો લાભ મળશે.
જુના વેરા નહીં ભરનાર લોકોને ૧૦૦ ટકા વ્યાજમાફી
રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીએ કરી આપી છે.તદ્દઅનુસાર, ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.૩૧ માર્ચ-ર૦રર સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરવામાં આવશે.
નાગરિકોની સુખાકારી માટે લીધો નિર્ણય
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે. નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ કરવાનો નાગરિક સુખાકારીનો નિર્ણય કર્યો છે