સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે.તો રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં મેઘરાજાએ તારાજી સર્જી છે. ત્યારે નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેતા જ એક્શનમાં આવ્યા છે.
જામનગરમાં ભારે વરસાદથી સ્થિતિ કથળી
CM ભૂપેન્દ્ર પટેલ હવાઇ નિરીક્ષણ કરશે
કૃષિ મંત્રી આર.સી.ફળદૂ પણ સાથે હાજર રહેશે
એરફોર્સની મંજૂરી મળ્યા બાદ ગાંધીનગરથી નિકળશે
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા પડ્યો. જેમા ખાસ કરીને જામનગર અને રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી ત્યારે વધુમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. લો પ્રેશર સક્રિયા થતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી શપથ લેતા જ એક્શન મોડમાં આવ્યા છે.
પેલા જ દિવસે યોજી સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ ને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી.CMએ જામનગર ના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકો ને NDRFની મદદથી સ્થળાંતર કરવા ની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
રાજકોટ કલેક્ટરને પણ કરી તાકિદ
તેમણે રાજકોટ માં ભારે વરસાદ ને કારણે આજી 2 ડેમની જળાશય ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારો ના લોકો ને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર ને તાકીદ કરી હતી. રાજકોટ માં 1155 લોકો જે આજી ના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.ભૂપેન્દ્ર ભાઈ પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડા થી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકો ને સૂચના આપી હતી.
જામનગરનું કરશે હવાઈ નિરીક્ષણ
જામનગરમાં ભારે વરસાદથી કથળેલી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. મળતી જાણકારી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદૂ તથા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ આ મુલાકાતમાં સાથે રહેવાના છે.
બસ એરફોર્સની મંજૂરીની રાહ
જો કે, ભારે વરસાદી વાતાવરણ હોવાથી એરફોર્સ દ્વારા મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. એરફોર્સની મંજૂરી મળતા જ રાજ્યના નવા મુખ્યમંત્રી તાબડતોબ હવાઈ નિરીક્ષણ કરવા માટે જામનગર જવા રવાના થશે.
સવારે જ જિલ્લા કલેક્ટરને પૂર અસરગ્રસ્તોને બનતી તમામ મદદ પહોંચાડવાના આદેશ આપ્યા હતા
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મોટો આદેશ આપ્યો છે. જેમા તેમણે કહ્યું કે જામનગરમાં વરસાદને કારણે 3 ગામમાં 35 જેટલા લોકો ફસાઈ ગયા છે. તેમને બચાવીને બહાર કાઢવામાં આવે. ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા ની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર હાલ પણ ભારે વરસાદ છે. જેથી આવનારા દિવસોમાં અહીયા વરસાદ યથાવત રહેશે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે પહેલાથી લોકોને સાવચેત કર્યા
જેમા અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. સાથેજ પોરબંદર, જૂનાગઢ, સોમનાથમાં પણ રેડ અલર્ટ અપાયું છે. જેના કારણે અહીયાના લોકો પણ અત્યારથી સાવચેત થઈ ગયા છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ઉલ્લેખનીય છે કે જામનગર અને રાજકોટમાં આજે જળંબબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે વધુમા હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ 15 તારીખે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.