ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. જેમાં ખેડૂતોના પાકવિમાના પ્રશ્નો તેમજ વાવણીના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાયબ્રન્ટની તૈયારી અને સરકારની વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણની ચર્ચા પણ કરવામાં આવશે.
તો દિલ્હીથી પ્રધાનમંત્રી દ્વારા મળેલી શિખામણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફી મામલે સરકાર માટે પડકાર બનેલા હાર્દિકના ઉપવાસ અંગે પણ વિગતવાર મંથન કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો મુદ્દા પર પણ ભાર પૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાતની ઓળખ સમાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ મુદ્દે સરકારે અત્યારથી જ કામગીરી શરૂ કરી છે. જેને અનુસંધાને આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.