કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ બાદ ગાંધીનગર પહોંચ્યા છે. અમિત શાહ ગાંધીનગર અને કલોલમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જો કે ભાજપના અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિત શાહે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા સહિત નેતાઓને ખખડાવ્યા હતાં.પેટાચૂંટણીની છ બેઠકમાં પણ વિજય ન મેળવી શકતાં નારાજગી વ્યક્ત કરી હતી.
દિવાળી બાદ ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની સંભાવના
અમિત શાહ ગુજરાતના પરિણામથી નારાજઃ સૂત્ર
સંગઠનમાં મજબુત પકડ માટે અમિત શાહે આપી સૂચના
ગાંધીનગરમાં અમિત શાહની બંધબારણે બેઠક
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બંધબારણે બેઠક કરી હોવાનું સૂત્રોને માહિતી મળી રહી છે. સૂત્રોને મળતી માહિતી મુજબ આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી તેમજ પ્રદિપસિંહ જાડેજા, ભીખુભાઈ દલસાણિયા સહિત અન્ય નેતાઓ હાજર હતા. જો કે આ અંગે હજી કોઇ સત્તાવાર માહિતી મળેલ નથી. સૂત્રના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પેટાચૂંટણીના પરિણામ વિપરીત આવતા અમિત શાહે ખખડાવ્યા તેમજ સંગઠન પ્રત્યે નારાજગી વ્યકત કરી હતી. અમિત શાહે બેઠકમાં સંગઠનમાં પકડ મજબૂત કરવા સૂચના આપી છે. ઉપરાંત દિવાળી બાદ સંગઠનમાં ઘરખમ ફેરફાર થવાની સંભાવના છે.
પેટાચૂંટણીનું પરિણામ ભાજપની વિપરીત
રાજ્યમાં યોજાયેલ છ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ગઇકાલે આવેલ પરિણામ ભાજપના અનુમાન કરતા વિપરીત આવ્યું છે. જેમાં રાજ્યની 6 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસની 3-3 બેઠક પર જીત થઇ છે. આમ ભાજપ દ્વારા 6 બેઠક પર જીતનો દાવો જે કરવામાં આવ્યો હતો તેમાંથી 3 બેઠક પર જ વિજય પ્રાપ્ત થયો.